ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
વેપારીઓની ઘણા લાંબા સમય જૂની માગણી આખરે આજે કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે. હવે રિટેલર્સ અને જથ્થાબંધ વેપારીઓને પણ માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રી MSMEની વ્યાખ્યામાં આવરી લેવાયા છે. ઘણાં વેપારી સંગઠનો લાંબા સમયથી આ માગણી કરી રહ્યાં હતાં. વેપારીઓને આનાથી બે મોટા લાભ થશે.
પ્રથમ ભારત સરકારે તમામ MSME અંતર્ગત કોલેટરલ-મુક્ત લોન ઉપલબ્ધ કરાવી છે. એટલે કે કોઈ પણ ગૅરન્ટી વગર લોન આપવામાં આવશે. આ પહેલ ઉદ્યોગોને નાણાંની બાંયધરી આપે છે. આ યોજના હેઠળ, જૂના તેમ જ નવા ઉદ્યોગો બંને લાભનો દાવો કરી શકે છે. બીજો MSMEને બજાર કરતાં ઓછા વ્યાજદરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મોટા સમાચાર : મુંબઈના તમામ વેપારીઓ હવે એમએસએમઈમાં સામેલ થઈ શકશે; કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય
આ સંદર્ભે વાતચીત કરતાંઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ ઍસોસિયેશનના પ્રેસિડન્ટ અને ચેમ્બર ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડના સેક્રેટરી મિતેશ મોદીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “અમે સરકારના આ પગલાનું સ્વાગત કરીએ છીએ અને આ બે મોટા લાભ ઉપરાંત બીજા તમામ લાભ મળે એ બાબતે ફેરવિચારણા કરવા વિનંતી કરીએ છીએ.”
ઉલ્લેખનીય છે કે અગાઉ માત્ર મૅન્યુફૅક્ચરિંગ યુનિટ છે કે સર્વિસ યુનિટને જ MSME તરીકેની માન્યતા મળતી હતી. હવે આ વ્યાખ્યામાં સુધારો કરવામાં આવ્યો છે અને રિટેલર્સ અને જથ્થાબંધ વેપારીઓને પણ આમાં સામેલ કરાયા છે.