ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જૂન 2021
શનિવાર
કોરોનાને પગલે છેલ્લા દોઢ વર્ષથી રહેલા લૉકડાઉનને પગલે મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટા ભાગના વેપારીઓનો ધંધો ઠપ્પ થઈ ગયો છે. એમાં પણ ગ્રાહકોના અભાવે મુંબઈની કાપડબજાર સાથે જોડાયેલા વેપારીઓ પર નાદારી નોંધાવવાનો સમય આવી ગયો છે. વેપારીઓ હવે લડી લેવાના મૂડમાં છે. એટલું જ નહીં, પણ વેપારીઓએ હવે દુકાનોની ચાવી સરકારને સોંપી દેવાની ઝુંબેશ ચલાવવાનો ઇરાદો પણ જાહેર કર્યો છે, ત્યારે કોલાબાના વિધાનસભ્ય રાહુલ નાર્વેકર અને નગરસેવિકા રીટા મકવાણાએ વેપારીઓને સમર્થન જાહેર કર્યું છે.
ફેડરેશન ઑફ મુંબઈ રિટેલ ક્લોથ ડીલર ઍસોસિયેશન ટ્રસ્ટી અને હિંદમાતા ક્લોથ મર્ચન્ટ ઍસોસિયેશનના ચૅરમૅન દિનેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે મુંબઈના રિટેલ વેપારીઓ ધંધાકીય રીતે લગભગ ખલાસ થઈ ગયા છે. એમાં સમયની પાબંદી વેપારીઓ માટે વજ્રાઘાતસમાન છે. રાહ જોઈ જોઈને થાકી ગયા છીએ. અમારા અસ્તિત્વનો હવે સવાલ છે. એથી હવે જો રાહત આપવામાં આવી નહી તો અમારી પાસે આંદોલન સિવાય છૂટકો નથી.
ફેડરેશન ઑફ મુંબઈ રિટેલ ક્લોથ ડીલર ઍસોસિયેશનના સેક્રેટરી હરેન મહેતાએ જણાવ્યું હતું કે વેપારી માટે આરપારની લડતનો સમય આવી ગયો છે. હવે કાપડબજારના વેપારીઓ રાહત ઇચ્છે છે. આવતા અઠવાડિયાથી રાહત મળવાની અમને આશા હતી ત્યારે હવે ડેલ્ટા પ્લસ વાયરસનું કારણ આગળ કરીને સરકારે પોતાનો ઇરાદો જાહેર કરી દીધો છે. ફેરિયાઓને સરકાર બધી છૂટ આપે છે. એમને સરકાર નુકસાનની પેઠે દર મહિને 1,500 રૂપિયા આપે છે. એમને કારણે રસ્તા પર ભીડ થાય છે. છતાં ફેરિયાઓને બદલે સરકાર વેપારીઓને હેરાન કરી રહી છે. અમે ટૅક્સ ભરીએ છીએ. સરકારને સતત સહકાર આપીએ છીએ. છતાં અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. એથી હવે અમે અમારી દુકાનોની ચાવી સરકારને સોંપી દેવાની ઝુંબશ ચાલુ કરવાના છીએ. સરકાર જ અમારી દુકાન ચલાવે. અમારી તાકાતની વાત હવે રહી નથી.
ફેડરેશન ઑફ મુંબઈ રિટેલ ક્લોથ ડીલર ઍસોસિયેશનના ભૂતપૂર્વ સેક્રેટરી કિશોરભાઈ શાહે જણાવ્યું હતું કે મુંબઈમાં કોરોનાના નિયંત્રણમાં આવ્યા બાદ પણ મહારાષ્ટ્ર સરકાર તરફથી વેપારીઓને કોઈ રાહત આપવામાં આવી નથી. મુંબઈ લેવલ વનમાં આવી ગયું છે. એથી આવતા અઠવાડિયાથી રાહત મળશે એવી વેપારીઓની ઇચ્છા પર સરકારે ફરી એક વખત પાણી ફેરવી નાખ્યું છે. રિટેલ વેપારીઓનો ધંધો સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. વેપારીઓ માંડ અડધો દિવસ દુકાન ખુલ્લી રાખી શકે છે. એથી વેપારીઓને બહુ નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે ગુરુવારે વિધાનસભ્ય રાહુલ નાર્વેકર અને નગરસેવિકા રીટા મકવાણાએ ફેડરેશન ઑફ મુંબઈ રિટેલ ક્લોથ ડીલર ઍસોસિયેશનની ઑફિસમાં વેપારીઓને મળવા પહોંચી ગયા હતા. તેઓએ વેપારીઓની દરેક તકલીફ બાબતે ચર્ચા કરી હતી. તેમની સમસ્યાઓ, ધંધામાં થઈ રહેલી તકલીફને સરકાર સુધી પહોંચાડવામાં અને દરેક પ્રકારની મદદ કરવાની તૈયારી દર્શાવી હતી.
વેપારીઓ ફરી નિરાશ, નવી ગાઇડલાઇનને કારણે હવે દુકાનદારોને વધુ છૂટ નહીં મળે;જાણો વિગત
ફેડરેશન વતી ટ્રસ્ટી દિનેશભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ વિનોદ નગરીઆ, ધીરજ કોઠારી, સેક્રેટરી શૈલેશ ત્રિવેદી, હરેન મહેતા અને ખજાનચી હેમંત વિક્રમે આ મિટિંગમાં હાજરી આપી હતી. વેપારીઓની સાથેની મિટિંગ બાદ રાહુલ નાર્વેકરે આશ્વાસન આપ્યું હતું કે તેઓ આ તકલીફમાં વેપારીની સાથે જ છે. જો 28 જૂન પછી પણ દુકાનો ખુલ્લી રાખવા પરના પ્રતિબંધો નહીં હટાવ્યા તો વેપારીઓને ઉગ્ર આંદોલન કરવામાં સંપૂર્ણ સાથ આપશે.