ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)એ તમામ ટ્રેડિંગ મેમ્બરોને તાત્કાલિક ધોરણે તેમનાં આધાર અને પેન કાર્ડને લિંક કરી લેવાની સૂચના આપી છે. કેન્દ્ર સરકારે પેન અને આધારને લિંક કરવાની મુદત 30 સપ્ટેમ્બર, 2021 સુધી વધારી દીધી છે. આ મુદત સુધીમાં આધાર અને પેન કાર્ડને લિંક નહીં કરનારા મેમ્બરો સ્ટૉક એક્સચેન્જમાં ટ્રેડિંગ કરી શકશે નહીં એવી ચોખ્ખા શબ્દોમાં NSE દ્વારા સૂચના બહાર પાડવામાં આવી છે.
NSE દ્વારા તમામ ટ્રેડિંગ મેમ્બરોને આધાર અને પેન કાર્ડને લિંક કરવાની સૂચના તેમના ક્લાયન્ટને પણ તાત્કાલિક આપી છે. અન્યથા તેઓ પોતાનો ટ્રેડિંગ રાઇટ્સ ગુમાવી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે સરકારે અત્યાર સુધી આધાર અને પેન કાર્ડને લિંક કરવાની અનેક વખત મુદત વધારી આપી છે. હવે ફરી 30 સપ્ટેમ્બર, 2021 સુધી મુદત આપી છે, ત્યાર બાદ જો બંને આઇડેન્ટી નંબરને જોડવામાં નહીં આવે તો 30 સપ્ટેમ્બર બાદ પેન કાર્ડ નકામું થઈ જશે.