ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
લાંબા સમયથી પોતાના હક માટે લડી રહેલા દેશના નાના દુકાનદારોને ન્યાય મળ્યો છે. નાના દુકાનદારો માટે કેન્દ્રએ પેન્શનની જાહેરાત કરી છે, જેને કારણે દેશના લાખો નાની દુકાન ધરાવતા વેપારીઓને તેનો ફાયદો થવાનો છે. સરકારના આ નિર્ણયને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા વધાવી લેવામાં આવ્યો છે.
CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ આઝાદીના 70 વર્ષ પછી પણ દેશના વેપારીઓને આજ સુધી સરકારો દ્વારા માત્ર ટેક્સ વસૂલવા માટે કોઈપણ પગાર વગર ટેક્સ કલેક્ટર તરીકે રાખવામાં આવ્યા છે, પરંતુ જીવનભરનો વેપાર કરીને તમામ પ્રકારના ટેક્સ અને લાયસન્સ ફી ચૂકવ્યા પછી પણ તેઓ કોઈ પણ પ્રકારની સરકારી મદદથી વંચિત રહ્યા હતા. વેપારીઓને પણ આર્થિક મદદ મળે તે મુદ્દે સરકાર પર અનેક વર્ષો સુધી દબાણ લાવવામાં આવ્યું હતું. આખરે સરકારે વેપારીઓને પેન્શન આપવાની જાહેરાત કરી છે.
CAIT ની પ્રેસ રિલીઝ માં પદાધિકારીના કહેવા મુજબ વેપારીઓના હિતમાં લીધેલા આ નિર્ણયને આવકારવામાં આવે છે. કેન્દ્ર સરકારે આટલા વર્ષોમાં દેશના નાગરિકો માટે તમામ પ્રકારની યોજનાઓ લાવતી રહે છે. પરંતુ આ વખતે સરકાર દુકાનદારો માટે પણ એક સ્કીમ લઈને આવી છે, જેમાં તેમને 60 વર્ષની ઉંમર બાદ પેન્શન મળવાની જોગવાઈ છે. જેના માટે દુકાનદારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
અહેવાલો અનુસાર, સરકાર પોતાનો ધંધો કરનારા વેપારીઓ માટે નેશનલ પેન્શન સ્કીમ લઈને આવી છે. તેમાં નોંધણી માટે દુકાનદારના વ્યવસાયનું વાર્ષિક ટર્નઓવર 1.5 કરોડ રૂપિયા અથવા તેનાથી ઓછું હોવું જોઈએ. આ યોજનામાં જે અરજદારો જોડાવવા માંગતા હોય તે NPS, ESIC અથવા EPFO ના સભ્ય ના હોવા જોઈએ. સાથે જ અરજદાર આવકવેરો ભરતો ન હોવો જોઈએ. આ એક જોકે એક સ્વૈચ્છિક યોજના છે.