News Continuous Bureau | Mumbai
QR Based Vending Machine: દેશ અને દુનિયામાં દરરોજ કોઈને કોઈ નવી ટેક્નોલોજી આવે છે. તેની સાથે જીવનને સરળ બનાવવાનું કામ પણ થાય છે. તે જ સમયે, ભારતીય રિઝર્વ બેંકે એક એવી જાહેરાત કરી છે, જેનાથી લોકોને ઘણો ફાયદો મળવાનો છે. હકીકતમાં, ભારતીય રિઝર્વ બેંક ક્યૂઆર કોડ (QR Code) આધારિત કોઈન વેન્ડિંગ મશીન પર એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે આરબીઆઈ મોનેટરી પોલિસી (RBI Monetary Policy) ની બેઠકની જાહેરાત દરમિયાન આ જાહેરાત કરી હતી.
સિક્કાઓની પહોંચ વધારવા મશીનો લોન્ચ કરવામાં આવશે
ગવર્નગર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, સિક્કાના વિતરણને પ્રોત્સાહન આપવા અને સિક્કાઓની પહોંચ વધારવાના ઉદ્દેશ્ય સાથે આ મશીનો લોન્ચ કરવામાં આવશે. આ અંતર્ગત વેન્ડિંગ મશીન લગાવ્યા બાદ ATM કાર્ડની જગ્યાએ ક્યૂઆર કોડ (QR Code) નો ઉપયોગ કરવો પડશે, જેમાંથી સિક્કા ઉપાડી શકાશે.
કોઈન વેન્ડિંગ મશીન પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે
ગવર્નર દાસે જણાવ્યું કે, ભારતીય રિઝર્વ બેંક 12 શહેરોમાં ક્યૂઆર કોડ (QR Code) આધારિત સિક્કા વેન્ડિંગ મશીન (QCVM) પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. આ વેન્ડિંગ મશીનો બેંક નોટોના ફિઝિકલ ટેન્ડરિંગને બદલે યુપીઆઈ (UPI) નો ઉપયોગ કરીને ગ્રાહકના એકાઉન્ટમાંથી ડેબિટ કરીને સિક્કાઓનું વિતરણ કરશે. તેનાથી સિક્કાની ઉપલબ્ધતા સરળ બનશે. આ મશીનોનો ઉપયોગ કરીને સિક્કાના વિતરણને પ્રોત્સાહન આપવા માટે બેંકોને નિર્દેશો જારી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : તુર્કી જવા માંગતા હતા પાક પીએમ શાહબાઝ શરીફ, તુર્કીએ કહ્યું- આવવાની કોઈ જરૂર નથી…
લોકપ્રિય રિટેલ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ
તેમણે એમ પણ જણાવ્યું કે યુપીઆઈ (UPI) દેશની સૌથી લોકપ્રિય રિટેલ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બની ગઈ છે. આરબીઆઈ હવે ભારતમાં આવતા તમામ પ્રવાસીઓને દેશમાં રોકાણ દરમિયાન મર્ચન્ટ પેમેન્ટ માટે યુપીઆઈ (UPI) નો ઉપયોગ કરવાની મંજૂરી આપવા અંગે વિચારણા કરશે. આ સુવિધા કેટલાક પસંદગીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચનારા G-20 દેશોના મુસાફરોથી શરૂ થશે. આરબીઆઈ ગવર્નરે એમ પણ જણાવ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાએ છેલ્લા ત્રણ વર્ષમાં સફળતાપૂર્વક અનેક મોટા આંચકાઓનો સામનો કર્યો છે અને તે પહેલા કરતા વધુ મજબૂત બનીને ઉભરી આવી છે.
Join Our WhatsApp Community