News Continuous Bureau | Mumbai
મોદી સરકારના ૯ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દેશભરમાં મહાજનસંપર્ક અભિયાન અમલમાં મૂકશે અને તેના દ્વારા મોદી સરકારની સિદ્ધિઓ ૮૦ કરોડ લોકો સુધી પહોંચાડવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ મંગળવારે માહિતી આપી હતી કે રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાજીના નેતૃત્વમાં આ અભિયાનમાં કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય કાર્યકર્તાઓ જેવા ૨૨૭ અગ્રણી નેતાઓ તમામ લોકસભા મતવિસ્તારોનો પ્રવાસ કરશે. તેઓ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બોલી રહ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, પ્રદેશ ઉપાધ્યક્ષ માધવ ભંડારી, પ્રદેશ મહામંત્રી વિક્રાંત પાટીલ, પ્રચારના પ્રદેશ સંયોજક ધારાસભ્ય પ્રવીણ દરેકર, સહ-સંયોજક કૃપાશંકર સિંઘ, રાજ્ય ખજાનચી શ્રી. મિહિર કોટેચા, મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાદ્યે, મીડિયા વિભાગના વડા નવનાથ બન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે ૩૧મી મેના રોજ અજમેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા સાથે અભિયાનની શરૂઆત કરવામાં આવશે.
શ્રી તાવડેએ કહ્યું કે ૩૦ મેથી ૩૦ જૂન સુધી યોજાનાર આ જનસંપર્ક અભિયાનમાં મોદી સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓના સમ્મેલન, પ્રબુદ્ધ સભા, જનસંઘના વરિષ્ઠ કાર્યકરોની બેઠક જેવા અનેક કાર્યક્રમો થશે. પ્રત્યેક લોકસભા મતવિસ્તારમાં સમાજના પ્રતિષ્ઠિત માન્યવર મહાનુભાવો જેમ કે પ્રભાવશાળી વ્યક્તિઓ, પદ્મ પુરસ્કારો, ખેલ પુરસ્કાર અને અન્ય મહત્વપૂર્ણ પુરસ્કાર વિજેતા લગભગ સાડા પાંચ લાખ માન્યવરોને ‘સંપર્ક ટુ સપોર્ટ’ કાર્યક્રમ હેઠળ વ્યક્તિગત રીતે મળીને મોદી સરકારની સિદ્ધિઓ તેમને પહોંચાડવામાં આવશે. રાષ્ટ્રીય નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ અને બૌદ્ધિકો સાથે તે લોકસભા મતવિસ્તારમાં પ્રવાસ કરીને છેલ્લા ૯ વર્ષમાં દેશની પ્રગતિ વિશે વિચારમંથન કરશે. તેમજ કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય નેતાઓ જનસંઘના ભાજપમાં કામ કરતા વરિષ્ઠ કાર્યકરો, ભાજપની વિચારધારાને સમર્થન કરતા અન્ય સંગઠનોના કાર્યકરો સાથે વાતચીત કરશે. પ્રચારના છેલ્લા ૧૦ દિવસમાં મોદી સરકારની ૯ વર્ષની સિદ્ધિઓની પુસ્તિકા દરેક મતવિસ્તારમાં ઘરે ઘરે પહોંચાડવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: તમાકુ છોડો, સ્વાસ્થ્ય જાળવો! આજે છે વિશ્વ તમાકુ નિષેધ દિવસ. જાણો ઇતિહાસ અને ઉજવણીનો ઉદ્દેશ્ય
આ જનસંપર્ક અભિયાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લગભગ ૧૨ સભાઓનું આયોજન કરવામાં આવશે. આ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને અન્ય નેતાઓની સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુજબની માહિતીનો શ્રી. તાવડેએ ઉલ્લેખ કર્યો હતો. ભાજપના યુવા,મહિલા, અનુસૂચિત જાતિ જનજાતિ અને ખેડૂત આવા જુદા જુદા મોરચા મારફત સભાઓનુ આયોજન કરીને તે તે વર્ગને ૯ વર્ષના કાર્યકાળમાં શું શું મળ્યું તેની માહિતી આપવામાં આવશે એમ પણ શ્રી તાવડેએ કહ્યું છે શ્રી તાવડેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૩ જૂને જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના ‘બલિદાન દિવસ’ પર દેશભરના ૧૦ લાખ બૂથ પર ઓનલાઈન મીટિંગને સંબોધિત કરશે. આ અભિયાન દ્વારા બે તૃતીયાંશથી વધુ વસ્તી સુધી પહોંચવાનું આયોજન છે. દેશની જનતાએ આ અભિયાનને બહોળો પ્રતિસાદ આપવો તેવી અપીલ પણ શ્રી. તાવડેએ આ પ્રસંગે કરેલ છે.