News Continuous Bureau | Mumbai
Cyclone Biporjoy : વાવાઝોડા “બિપરજોય” અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારનાં જિલ્લાઓમા ભારે પવન સાથે વરસાદ થવાની કરવામાં આવી છે. હાલની સ્થિતિએ બિપરજોયને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 15 જૂન સુધી 50 કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. આ શક્યતાને જોતા જિલ્લામાં સંભવિત નુકસાની નિવારી શકાય તે માટે જિલ્લા કલેક્ટર કે.સી.સંપટના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના વિવિધ પગલાઓ લઈ તમામ તકેદારીઓ રાખવામા રહી છે. વાવાઝોડાના જોખમને ધ્યાને રાખી જિલ્લાના તમામ ક્લાસ 1-2 અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ કરવામાં આવ્યો છે. વાવાઝોડાની અસરના પગલે જિલ્લામાં વરસાદ કે ભારે પવન ફૂંકાવાની શક્યતાને ધ્યાને રાખી જોખમરૂપ બની શકે તેવા તમામ હોર્ડિંગ્સ, બેનર, માળખા ઉતારી દેવામાં આવ્યા છે. વીજ પુરવઠો ખોરવાય નહીં, ઝડપથી કાર્યરત થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ, આયોજન કરવામાં આવી રહ્યું છે.
સાયકલોનની કચ્છના નાના રણ, ઘુડખર અભયારણ્ય પર સંભવિત અસરને ધ્યાને લઈ અગમચેતીના ભાગરૂપે અભયારણ્ય, કચ્છના નાના રણ વિસ્તારમાંથી તમામ અગરિયાઓને- પ્રવાસી મુલાકાતીઓને બહારના લઈ જવા તથા જોખમરૂપ સમયગાળા દરમિયાન કોઈ નાગરિક અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશે નહીં તે સુનિશ્ચિત કરવા માટે ટેમ્પરરી બેઝ કેમ્પ સ્થાપવાનુ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની તમામ હોસ્પિટલો, CHC તેમજ PHC સેન્ટરોમા જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. તેમજ મેડિકલ/ પેરા મેડિકલ સ્ટાફ હોસ્પિટલ ખાતે સતત હાજર રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. જિલ્લાની હોસ્પિટલોમાં પૂરતો પાવર બેક-અપ રાખવામાં આવે તે રીતનુ આયોજન કરવામાં આવી રહ્યું છે. વરસાદી પાણી ભરાવાથી અસર પામતા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોની સંભવિત યાદી તૈયાર કરાઈ રહી છે અને વરસાદી પાણીના નિકાલ માટે આગોતરું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. તાલુકા કક્ષાએ તેમજ શહેરી કક્ષાએ તરવૈયાઓ, રાહતકાર્ય માટે એન.જી.ઓ.ની યાદી અપડેટ કરવામાં આવી છે. વાવાઝોડા દરમિયાન ગામના તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટીને સેજામા રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. ભારે પવનના પગલે વૃક્ષો ધરાશાયી થવાના કિસ્સામાં રોડ પરનો અવરોધ સત્વરે દૂર કરવા જરૂરી સ્ટાફ, ક્રેઇન અને અન્ય સાધનો ઉપલબ્ધ રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાહત બચાવની સ્થિતિ ઉત્પન્ન થયે ઝડપી કામગીરી માટે એસડીઆરએફની એક ટીમ ધ્રાંગધ્રા ખાતે તૈનાત કરવામાં આવી છે. હાલ સમગ્ર પરિસ્થિતિ પર જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે. ખોટા મેસેજ અને અફવાઓથી દૂર રહી રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા અપાતી સાચી માહિતીને અનુસરવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Cyclone Biporjoy : વેરાવળ અને સુત્રાપાડામાં 5 ઇંચથી વધુ વરસાદ બજારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા, રસ્તા પરના અનેક ઝાડ અને વિજપોલ ધરાશાયી, તાડનું ઝાડ બાઈકસવાર દંપતિ ઉપર પડતા ઈજાગ્રસ્ત