News Continuous Bureau | Mumbai
આજે શિવ ઉપાસનાનો મહા પર્વ એટલે કે મહાશિવરાત્રી. શિવાલયોમાં મહાશિવરાત્રી હોવાથી હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે. ચાર પ્રહરની પૂજા, અભિષેક, ભજન કીર્તન, સંતવાણી સહિતના ધાર્મિક આયોજનો થતા હોય છે. તો શ્રદ્ધાળુઓ ભાંગનો પ્રસાદ લઇને શિવજીની આરાધના કરતા હોય છે.
પંચાંગ અનુસાર આ દિવસ ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર આવે છે. શિવપુરાણમાં લખ્યું છે કે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગથી સૃષ્ટિની શરૂઆત થઈ હતી. આ દિવસે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ સૌથી પહેલા શિવલિંગની પૂજા કરી હતી. ત્યારથી દરેક યુગમાં, ભગવાન શિવની મહાન પૂજા કરવાની અને આ તિથિએ ઉપવાસ કરવાની પરંપરા છે.
આ તહેવાર પર દિવસભર શિવ પૂજા કરવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોમાં રાત્રે પૂજા કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. સાથે એવી માન્યતા પણ છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. સ્કંદ અને શિવપુરાણમાં લખ્યું છે કે શિવરાત્રિના દિવસે રાત્રે ચાર પ્રહરમાં શિવની પૂજા કરવી જોઈએ કારણ કે આ તિથિએ ભગવાન શિવ રાત્રે જ લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા, તેથી શિવરાત્રિની રાત્રિના ચાર પ્રહરમાં પૂજા કરવાથી અજાણતા પાપ અને દોષ દૂર થાય છે. અકાળે મૃત્યુ થતું નથી.
મહાશિવરાત્રીનો તહેવાર ભગવાન શિવની પૂજા, તપસ્યા અને આદર સાથે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિ પર ઉપવાસ અને પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. મહાશિવરાત્રી પર ભગવાન શિવને અભિષેક કરવાનું વિશેષ મહત્વ હોય છે. મહાશિવરાત્રિ પર આજે સવારથી જ દેશના અનેક રાજ્યોમાં આવેલા શિવ મંદિરોમાં શિવભક્તોની ભીડ જામવા લાગી છે. કોરોનાની કળ વળતા અને મોટાભાગના નિયંત્રણો દૂર થતા બે વર્ષ બાદ આજે દેવાધિદેવ મહાદેવની આરાધનાના મહાપર્વ મહાશિવરાત્રિની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી રહી છે.