ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
ક્રિકેટર યુવરાજ સિંહ બાદ હવે બૉલિવુડ અભિનેત્રી યુવિકા ચૌધરીની અપમાનજનક ટિપ્પણીના કેસમાં પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે અભિનેત્રીને 3 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ ઔપચારિક જામીન પર મુક્ત કરી છે.
યુવિકા પર અનુસૂચિત જાતિ પ્રત્યે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. તેણે મે મહિનામાં આ ટિપ્પણી કરી હતી, જે બાદ ભારે હંગામો થયો હતો. અનુસૂચિત જાતિના લોકોએ અભિનેત્રીની ટિપ્પણી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં તેની વિરુદ્ધમાં હંસી પોલીસ સ્ટેશનમાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ આપેલા નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ફરિયાદીઓએ વીડિયો પોલીસને સુપરત કર્યો હતો જેના આધારે તેની સામે FIR નોંધવામાં આવી હતી.
બૉલિવુડના આ ચાર ફિલ્મી કલાકારો ક્યારેક હતા પુરુષ, આજે સ્ત્રી બનીને કરી રહ્યા છે આ કામ; જાણો વિગત
અગાઉના દિવસે પંજાબ-હરિયાણા હાઈ કોર્ટના આદેશ બાદ અભિનેત્રી યુવિકા ચૌધરી પોલીસ તપાસ માટે હંસી પહોંચી હતી. આ દરમિયાન તેનો પતિ પ્રિન્સ નરૂલા તેની સાથે દેખાયો હતો. અભિનેત્રી વિરુદ્ધ દલિત અધિકાર કાર્યકર રજત કલસને ફરિયાદ નોંધાવી હતી. તેણે યુવરાજ સિંહ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત તેણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અભિનેત્રી મુનમુન દત્તા સામે પણ ફરિયાદ નોંધાવી હતી.