ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022
બુધવાર.
દેશભરમાં કોરોના મહામારીના કેસ હવે ઝડપથી ઓછા થઈ રહ્યા છે અને ઓમિક્રોન વેરિએન્ટે ભારતમાં સદનસીબે વધારે ખરાબી સર્જી નથી. જોકે આ કોરોનાનો છેલ્લો વેરિએન્ટ હતો તેવુ જો કોઈ વિચારતા હોવ તો તે વિચાર ખોટો સાબિત થઈ શકે છે. કારણ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, કોરોનાના નવા વેરિએન્ટ સામે આવવાનો સિલસિલો રોકાવાનો નથી.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કોરોનાના ટેકનિકલ પ્રમુખ મારિયા વોનનું કહેવું છે કે, કોરોનાનો જે નવો વેરિએન્ટ આવશે તે વધારે સંક્રમિત કરવાની અને હાલના વેરિએન્ટ ઓમિક્રોનને ઓવરટેક કરવાની ક્ષમતા ધરાવતો હશે. આ વેરિએન્ટ ગંભીર પણ હોઈ શકે છે અને ઓછો ગંભીર પણ હોઈ શકે છે. જો એ વધારે પ્રભાવશાળી હશે તો તે ઇમ્યુનિટી સિસ્ટમને પણ ચકમો આપી શકે છે.
મારિયા વોને કહ્યુ હતુ કે, ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા ચોંકાવનારી છે અને કેટલાક દેશોમાં હજી તેની લહેરનુ પીક આવવાનું બાકી છે. ઓમિક્રોનથી આખી દુનિયામાં 13 કરોડ લોકો સંક્રમિત થયા છે અને પાંચ લાખ લોકો મોતને ભેટ્યા છે.