ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૪૬

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

by Akash Rajbhar

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

ઋષિઓ બાલસ્વરૂપની આરાધના કરે છે. બાળક જલદી પ્રસન્ન થાય છે. બાલકૃષ્ણ જલદી પ્રેમ કરે છે. કનૈયાનો કોઈ
ભકત તેને બોલાવે છે, તો કનૈયો દોડતો આવે છે.
હું કીર્તનમાં જતો, કથા સાંભળતો. હું બહુ ઓછું બોલતો હતો. બહુ બોલનારો સંતોને ગમતો નથી. વાણીથી શક્તિનો
વ્યય કરશો નહિ, બહુ ઓછું બોલો. મૌન રાખી સેવા કરનાર ઉપર સંત કૃપા કરે છે. આ ત્રણ ગુણ નારદજી કહે છે, તે મારામાં હતા.
હું તો ભીલ. અને કોળી બાળકો સાથે રમવા જાઉં. એક દિવસ હું કથામાં ગયો. મારા ગુરુદેવ શ્રીકૃષ્ણકથાનું વર્ણન કરતા
હતા. મેં કથામાં બાળલીલા સાંભળી. નાનાં બાળકો કનૈયાને બહુ વહાલાં લાગે છે. કથાશ્રવણ કરતાં પ્રભુ પ્રત્યે સદ્ભાવ જાગ્યો.
શ્રીકૃષ્ણકથા એ પ્રેમકથા છે. શ્રીકૃષ્ણકથામાં યોગીઓને, સ્ત્રીઓને, બાળકોને સર્વને આનંદ આવે છે.
શ્રીકૃષ્ણની કથા જ એવી દિવ્ય છે, કે તે સર્વને આનંદ આપે છે. શ્રીકૃષ્ણકથામાં એવો આનંદ આવવા લાગ્યો કે મારું
રમવાનું છૂટી ગયું. હું રમવાનુ ભૂલી ગયો.
શ્રીકૃષ્ણકથામાં ગુરુદેવ પાગલ બને. મનુષ્ય સંસાર પાછળ પાગલ બન્યો છે. તેમાંથી મુક્ત થઈ ભગવાન પાછળ પાગલ
બને, તો જીવ અને શિવ એક થાય.
સંતની આંખ શુદ્ધ હોય છે, પવિત્ર હોય છે. સંત આંખથી પાપ કરતા નથી. સંતની આંખમાં શ્રીકૃષ્ણ બેઠેલા હોય છે. સંત
ત્રણ પ્રકારે કૃપા કરે છે:-સંત જેની તરફ વારંવાર નિહાળશે તેનું જીવન સુધરશે. માળા કરતાં જેને સંભાળશે, તેનું જીવન સુધરશે.
પ્રેમમાં જેને ભેટી પડે, તેનું કલ્યાણ થશે. તમારી આંખ,રતનનું જતન કરજો. મારા ગુરુ મને વારંવાર નિહાળે. ગુરુજી કહે, આ
છોકરો બહુ ડાહ્યો છે. ગુરુજીને આનંદ થાય કે આ જીવ જાતિહીન છે, પણ કર્મહીન નથી. સંત જેને પ્રેમથી નિહાળે છે, તેનું
કલ્યાણ થાય છે.

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૪૫

એક દિવસ સંતો જમી રહ્યા પછી, હું તેઓના એઠાં પતરાળાં ઉઠાવતો હતો. હું દાસીપુત્ર હતો, મને ખાવાનું કોણ આપે?
ગુરુજીએ આ પ્રમાણે મને સેવા કરતા જોયો. સંતનું હ્રદય પીગળ્યું. ગુરુએ પૂછ્યું:-હરિદાસ, તેં ભોજન કર્યું કે નહિ? મેં ના પાડી,

ગુરુને મારા પર દયા આવી. આ બાળક કેવો ડાહ્યો છે. ગુરુદેવે મને આજ્ઞા કરી, પતરાળામાં મેં જે રાખ્યું છે તે મેં તારા માટે રાખ્યું
છે. એ મહાપ્રસાદ છે. તે તું ખાજે. મેં પ્રસાદ લીધો.
શાસ્ત્રની મર્યાદા છે, કે ગુરુજીની આજ્ઞા વિના તેમનું ઉચ્છિષ્ઠ ખાવું નહિ. સંત કલ્યાણની ભાવનાથી પ્રસાદ આપે તો
કલ્યાણ થાય છે. સંતનું હ્રદય પીગળતાં બોલીને આપે ત્યારે પ્રસન્ન થયા એમ સમજવું. મેં પ્રસાદ ગ્રહણ કર્યો. મારા સર્વ પાપ નાશ
પામ્યાં. મને ભક્તિનો રંગ લાગ્યો. મને શ્રીકૃષ્ણ પ્રેમનો રંગ લાગ્યો. તે દિવસે હું કીર્તનમાં ગયો તે વખતે મને નવો જ અનુભવ
થયો. કીર્તનમાં અનેરો આનંદ આવ્યો. હું આનંદમાં થૈ થૈ નાચવા લાગ્યો. અતિ આનંદમાં દેહાધ્યાસ છૂટે છે. કીર્તન ભક્તિ
શ્રીકૃષ્ણને અતિશય પ્રિય છે. ભક્તિનો રંગ તે જ દિવસથી લાગ્યો. મને બાલકૃષ્ણનો અનુભવ થયો.
સંપત્તિ આપીને સુખી કરે એ સંત નહિ. પણ તમારા મનને સુધારે, સ્વભાવને સુધારે, તમારી ભક્તિને વધારે અને સુખી કરે તે
સંત.
સૂતજી કહે છે:- નારદજી પોતાનુ આત્મચરિત્ર વ્યાસજીને સંભળાવે છે.
હું ઓછું બોલતો હતો એટલે મારા ઉપર સંતની કૃપા થઈ. હું સેવામાં સાવધાન રહેતો હતો. સર્વમાં સદ્ભાવ રાખતો.
ગુરુદેવે મારા ઉપર ખાસ કૃપા કરી. મને વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો. પહેલા સ્કંધમા પાંચમા અધ્યાયનો 3૭ મો શ્લોક એ
વાસુદેવ ગાયત્રીનો મંત્ર છે, આ વાસુદેવ-ગાયત્રી મંત્રનો હંમેશા જ૫ કરવો.
નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ ।
પ્રધુમ્નાયાનિરુદ્ધાય નમ: સંઙ્કર્ષણાય ચ ।। 
મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની શુદ્ધિ આ વાસુદેવ, પ્રધુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ કરે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More