ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મ્હાડાના મુંબઈ મંડળ દ્વારા ગત ૨૫થી ૩૦ વર્ષમાં ૪૨૭ જમીનના ટુકડાઓના વિતરણ કરવામાં આવ્યા છે. આ બધી જમીનો ઉપર લાભાર્થી અથવા જમીનધારકોએ કોઈ પણ બાંધકામ ન કરીને કરારનો ભંગ કર્યો છે. ૪૨૭ પૈકી ૩૫૦થી વધારે જગ્યાઓ બોરીવલીમાં છે.
મ્હાડાની જમીન ઉપર કરાર પ્રમાણે નિશ્ચિત સમયમાં વિકાસકાર્ય કરીને તેને વાપરવી આવશ્યક છે. આ નિયમનું ઉલ્લંઘન થાય તો તેનું વિતરણ રદ કરીને જમીન તાબામાં લેવાનો અધિકાર મ્હાડાને છે. તેથી મ્હાડાએ આ ૪૨૭ જમીનોના ટુકડાઓને તાબામાં લેવાનો નિર્ણય લીધો છે. જમીનધારકોને કારણ દાખવો નોટિસ મોકલીને આગળની કાર્યવાહી કરાશે તેવું અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું. આ બધી જમીનો તાબામાં લઈને ત્યાં સામાન્ય નાગરિકો માટે ઘરો બાંધવાનો વિચાર મંડળ કરી રહ્યું છે.
હાલમાં જ ભૂતપૂર્વ ક્રિકેટખેલાડી સુનીલ ગાવસ્કરની સંસ્થાને મુંબઈ મંડળે 33 વર્ષ પહેલા બાંદ્રામાં ૨૧ હજાર ચો.મી. જગ્યા આપી હતી, પરંતુ આજ સુધી તેના ઉપર કોઈ પણ બાંધકામ થયું ન હતું. તેથી જમીનનું વિતરણ રદ કરવાનો પ્રસ્તાવ મુંબઈ મંડળ રજૂ કર્યો હતો. બુધવારે ગૃહ નિર્માણ વિભાગે નવી શરતો સાથે વિતરણ રદ કરવાનો નિર્ણય પાછો લઈ લીધો છે. હવે મુંબઈમાં આ રીતે ખાલી પડેલી જમીનો બાબતે પ્રશ્ન ઊભો થયો છે. સુનીલ ગાવસ્કરના કેસમાં વિતરણ રદ કરવાનો નિર્ણય પાછો લેવાયો તેમ આ ૪૨૭ જગ્યાઓ માટે પણ નિર્ણય પાછો લેવાશે કે પછી તેમના ઉપર કાર્યવાહી થશે?