ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
મુંબઈના નવા નીમાયેલા પોલીસ કમિશનર સંજય પાંડેએ નવો ચીલો ચાતર્યો છે. મુંબઈગરાને તેમણે એક ખુલ્લો પત્ર લખ્યો છે અને તેમને કોઈ પણ ફરિયાદ હોય તો સીધો તેમનો સંપર્ક કરવાની અપીલ કરી છે. એટલું જ નહીં તેમણે મુંબઈગરાને લખેલા પત્રમાં પોતાનો મોબાઈલ નંબર પણ શેર કર્યો છે.
તાજેતરમાં સંજય પાંડેની મુંબઈ પોલીસ કમિશનર પદે નિમણૂક કરવામાં આવી છે. તેમના અગાઉ હેમંત નાગરાલે મુંબઈના પોલીસ કમિશનર હતા અને તેમની બદલી મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે.
થોડા સમયથી મુંબઈ પોલીસની છાપ ખરડાઈ છે ત્યારે મુંબઈ પોલીસ કમિશનર પદે નવા નીમાયેલા સંજય પાંડેએ મુંબઈગરાના મનમાં પોલીસની છબી સુધારવાનો પ્રયાસ કર્યો છે. તે માટે તેમણે પદનો ભાર સંભાળવાની સાથે જ મુંબઈગરાને ઉલ્લેખીને એક પત્ર લખ્યો છે, તેમાં તેમણે કહ્યું છે કે “મારું મુંબઈ શહેર અને તેના દ્વારા તમારી સાથે ભાવનાત્મક જોડાણ છે. છેલ્લા 30 વર્ષથી પણ વધુ સમયથી મેં શહેરમાં અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જુદા જુદા પદ પર ફરજ બજાવી છે. મુંબઈ પોલીસનો પોતાનો એક ભવ્ય પરંપરા અને ઇતિહાસ છે. હકીકતમાં મુંબઈ પોલીસની સરખામણી હંમેશાથી સ્કોટિશ પોલીસ સાથે કરવામાં આવે છે. આ પૃષ્ઠભૂમિ પર મુંબઈ પોલીસ કમિશનર તરીકે મને મુંબઈના લોકોની સેવા કરવાની તક મળી છે, જે મારી માટે ગૌરવની વાત છે.”
સાવધાન!! આ શહેરમાં દર્દીઓમાં ઓમીક્રોનનો 100 ટકા ચેપ, પ્રશાસનની ચિંતામાં વધારો… જાણો વિગત
આ પત્ર ગુરુવારે મુંબઈ પોલીસ કમિશનરના ઓફિશિયલ એકાઉન્ટમાંથી ટ્વીટ કરવામાં આવ્યો હતો. આ પત્રમાં તેમણે લખ્યું છે કે “મુશ્કેલ સમયમાં સમગ્ર કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ આપણે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેથી, જો તમને મુંબઈ પોલીસની કામગીરીમાં સુધારો કરવાની જરૂર લાગે અને તમારી પાસે કોઈ સૂચના હોય, તો કૃપા કરીને મને 9869702747 પર જણાવો. અમુક વખત નાના સૂચનો પણ મોટો બદલાવ લાવી શકે છે. તેથી, અમે યોગ્ય સૂચનાની નોંધ લઈને તે મુજબ ફેરફારો કરવાના પ્રયાસ કરશું.”
પત્રમાં તેમણે કહ્યું હતું કે, “હું મુંબઈ પોલીસના તમામ અધિકારીઓની સાથે મુંબઈગરાને ખાતરી આપવા માંગુ છું કે મુંબઈ પોલીસ કાયદો અને વ્યવસ્થાની મદદ, સુરક્ષા માટે 24 કલાક તૈયાર છે”