ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૮૧

by Akash Rajbhar
The purpose of Bhagavata and its mahatmya. – 81
The purpose of Bhagavata and its mahatmya. – 81
NewsContinuous
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૮૧
Loading
/

તત્રાભવદ્ભગવાન્ વ્યાસપુત્રો યદૃચ્છયા ગામટમાનોऽનપેક્ષ: ।
અલક્ષ્યલિઙ્ગો નિજલાભતુષ્ટો વૃતશ્ર્ચ બાલૈરવધૂતવેષ: ।। 
વાસનાનું વસ્ત્ર પડી ગયું હતું. શુકદેવજી દિગંબર છે. સોળ વર્ષની અવસ્થા છે. અવધૂતનો વેષ છે કેડ ઉપર કંદોરો નહિ
તો લંગોટી કયાંથી હોય? ઘૂંટણ સુધી લાંબા હાથ છે. વિશાળ વક્ષ:સ્થળ છે. દ્રષ્ટિ નાસિકાના અગ્ર ભાગ ઉપર સ્થિર છે. મોઢા
ઉપર વાળની લટો વિખરાયેલી છે. વર્ણ કૃષ્ણ જેવો શ્યામ છે. અતિ તેજસ્વી છે. શુકદેવજી પાછળ બાળકો ધૂળ ઉડાડે છે.
નાગોબાવો જાય, નાગોબાવો જાય. પરંતુ શુકદેવજીને તેનું ભાન નથી. વૃત્તિ બ્રહ્માકાર છે. બ્રહ્મ ચિંતન કરતાં, દેહનું ભાન ભૂલ્યા
છે. પરમાત્માના ધ્યાનમાં, જે દેહભાન ભૂલે છે, તેના શરીરની કાળજી પરમાત્મા પોતે રાખે છે. આને દેહની જરૂર નથી, પણ મારે
એના દેહની જરૂર છે. ચારે તરફ પ્રકાશ ફેલાયો. સૂર્યનારાયણ તો ધરતી ઉપર ઊતરી આવ્યા નથી ને? મુનિઓ જાણી ગયા કે આ
તો શંકરજીના અવતાર શ્રી શુકદેવજી પધાર્યા છે. તે વખતે સભામાં શુકદેવજી પધારે છે. વ્યાસજી પણ તે સભામાં હતા. તે પણ
ઊભા થઇ વંદન કરે છે. શુકદેવજીનું નામ લેતાં વ્યાસજી પણ ભાન ભૂલ્યા છે. શુકદેવજીના વિશેષણો જુઓ અનપેક્ષ:,
નિજલાભતુષ્ટો અવધૂતવેશ:

વ્યાસજી વિચારે છે:-ભાગવતનું રહસ્ય, શુકદેવજી જાણે છે, તેવું હું જાણતો નથી. કેવો નિર્વિકાર છે! મારો દીકરો કથા
કરશે અને હું સાંભળીશ.
સુવર્ણના સિંહાસન ઉપર શુકદેવજી બિરાજ્યા છે. રાજાનું કલ્યાણ કરવા પધાર્યા છે. પરીક્ષિતે આંખો ઉઘાડી. મારો ઉદ્ધાર
કરવા પ્રભુએ આમને મોકલ્યા છે. નહિતર મારા જેવા વિલાસીને ત્યાં, પાપીને ત્યાં તેઓ આવે નહિ. પરીક્ષિતે શુકદેવજીનાં
ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. પરીક્ષિતે પોતાનું પાપ તેમની સમક્ષ જાહેર કર્યું. હું અધમ છું, મારો ઉદ્ધાર કરો. ‘જેનું મરણ
નજીક આવેલું છે તેણે શું કરવું જોઈએ?’ એ પણ બતાવો કે મનુષ્યમાત્રનું કર્તવ્ય શું? તેણે શાનું શ્રવણ, કોનો જપ, કોનું સ્મરણ
અને કોનુ ભજન કરવું જોઇએ?
ગુરુદેવ શુકદેજીનું હ્રદય પીગળી ગયું, ચેલો લાયક છે. અધિકારી શિષ્ય મળે તો ગુરુને થાય કે હું મારું સર્વસ્વ તેને
આપી દઉં, બ્રહ્મનિષ્ઠ હોય, નિષ્કામ હોય અને શિષ્ય પ્રભુદર્શન માટે આતુર હોય તો, સાત દિવસ શું, સાત મિનિટમાં પ્રભુનાં
દર્શન કરાવે છે. બાકી ગુરુ લોભી હોય અને ચેલો લૌકિક સુખની લાલચથી આવ્યો હોય તો બન્ને નરકમાં પડે છે.
લોભી ગુરુ ઔર લાલચી ચેલા, દોનોંકા નરકમેં ઠેલમ ઠેલા.

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૮૦

શુકદેવજી કહે છે:-રાજન! તું શું કરવા ગભરાય છે? સાત દિવસ હજુ બાકી છે. હું તારી પાસે કાંઈ લેવા આવ્યો નથી. તને
આપવા આવ્યો છું. રાજા, હું નિરપેક્ષ છું. મને જે આનંદ મળ્યો છે, મને જે પરમાત્માનાં દર્શન થયાં છે, તેનાં દર્શન તને કરાવવા હું
આવ્યો છું. મને જે મળ્યું છે, તે તને આપવા આવ્યો છું, રાજા મારા પિતાજી તો ભૂખ લાગે ત્યારે દિવસમાં એક વખત બોર ખાતા
પણ આ ભજનાનંદમાં કૃષ્ણકથામાં મને એવો આનંદ આવે છે કે મને બોર પણ યાદ આવતાં નથી. મારા પિતાજી વસ્ત્ર પહેરતા.
પ્રભુ ચિંતનમાં મારું વસ્ત્ર કયાં પડી ગયું તેની પણ મને ખબર નથી. સાત દિવસમાં તને શ્રીકૃષ્ણનાં દર્શન કરાવીશ. રાજા, હું
બાદરાયણિ છું. કૃષ્ણ આનંદમાં મસ્ત થયા પછી બોર પણ ખાવાનું કયાં રહ્યું?
ભગવાન બાદરાયણિ । શુકદેવજીનું જીવન સોળઆની વૈરાગ્ય શબ્દથી વ્યકત થાય છે. બાદરાયણિને બદલે શુક્ર શબ્દ
લખ્યો હોય તો ન ચાલત? ભાગવતમાં એક પણ શબ્દ વ્યર્થ નથી લખ્યો શુક્દેવજીનો વૈરાગ્ય બતાવવા આ શખ્દ વાપર્યો છે.
શુકદેવજી બાદરાયણ વ્યાસજીના આ પુત્ર છે. વ્યાસજીનું તપ કેવું હતું? વૈરાગ્ય કેવો હતો? વ્યાસજી આખો દિવસ જપતપ કરતા
અને દિવસમાં ભૂખ લાગે ત્યારે ફક્ત એક વખત એકલાં બોર જ ખાતા હતા. કેવળ બોર ઉપર જ રહેતા. એટલે બોર ઉપરથી એમનું
નામ પડયું બાદરાયણ. તેવા બાદરાયણના પુત્ર છે, જેનામાં પુષ્કળ જ્ઞાન, વૈરાગ્ય હોય તે બીજાને સુધારી શકે. શુકદેવજીમાં તે
બન્ને પૂર્ણ હતાં. આજના સુધારકોમાં ત્યાગ, સંયમ જોવામાં આવતાં નથી. તે બીજાને શું સુધારવાના હતા? મનુષ્ય પહેલાં પોતે
પોતાને જ સુધારવા પ્રયત્ન કરે.
રાજન્! જે સમય ગયો છે, તેનું સ્મરણ કરીશ નહિ. ભવિષ્યનો વિચાર પણ કરીશ નહિ. ફકત વર્તમાનને સુધારજે. રાજન્
સાત દિવસ બાકી છે. મારા નારાયણનું સ્મરણ કર, તારું જીવન સુધરશે. લૌકિક રસ ભોગવનારને પ્રેમરસ, ભક્તિરસ
મળતો નથી, જેણે કામને છોડયો છે એ જ રસિક છે. જગતના રસ કડવા છે, પ્રેમરસ જ મધુર છે. ઇન્દ્રિયોનો ગુલામ થયો તેને
કાળ પકડે છે. ભાગવતના વકતા શુકદેવજી જેવા હોવા જોઈએ.

ઈતિ પ્રથમ: સ્કંધ: સમાપ્ત:
હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
।। શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ।।

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More