ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 જુલાઈ, ૨૦૨૧
શુક્રવાર
રાજ્યમાં હાલ CET મુદ્દે ઊહાપોહ છે. હવે આ ચર્ચા માત્ર પરીક્ષા સુધી સીમિત ન રહેતાં શૈક્ષણિક ડિબેટનો વિષય બની ગઈ છે. તાજેતરમાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયા દ્વારા કરાયેલા એક સર્વેમાં જણાયું છે કે રાજ્યના ૪૦% વિદ્યાર્થીઓ CETની પરીક્ષા આપવા ઇચ્છતા નથી. બીજી બાજુ, ૨૬% વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા, ન આપવાની અસમંજસમાં છે. સર્વેના આંકડા મુજબ ૧,૮૦૦માંથી માત્ર ૫૮૮ વિદ્યાર્થીઓ જ CETની પરીક્ષાઆપવા માગે છે.
સર્વેમાં ૧૧% વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ CETની પરીક્ષાઆપવા માટે વિશેષ ક્લાસમાં પણ જોડાયા છે, તો ૩૦% વિદ્યાર્થીઓ પોતાના વતનમાં છે, જેમણે CETની પરીક્ષાઆપવા માટે ફરી આવવું પડશે. હાલ CETના પૉર્શનનો મુદ્દો હાઈકોર્ટમાં છે. શિક્ષણ વિભાગે કહ્યું છે કે આ પરીક્ષા SSCના અભ્યાસક્રમ પ્રમાણે લેવાશે, પરંતુ બીજા બોર્ડના વિદ્યાર્થીઓનું શું થશે, એ ખૂબ જ મોટો પ્રશ્ન છે.
એક વાલીએ આ સર્વેમાં જણાવ્યું હતું કે “બીજા બોર્ડના વિદ્યાર્થીઓ SSCનો અભ્યાસક્રમ એક મહિનામાં ભણે એવી બોર્ડની અપેક્ષા સદંતર ખોટી છે.” ઉપરાંત ઑફલાઇન પરીક્ષા લેવી કેટલી સુરક્ષિત છે એ પ્રશ્ન પણ વાલીઓને ખૂબ જ સતાવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અન્ય બોર્ડના કોઈ વિદ્યાર્થીએ અમુક વિષય વિકલ્પમાં છોડી દીધા હોય તેવા વિદ્યાર્થીઓનું શું? એવો પ્રશ્ન પણ એક વિદ્યાર્થીએ કર્યો હતો. એક ખૂબ જ મોટો પ્રશ્ન હજી પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવી રહ્યો છે કે જો CETમાં બોર્ડ કરતાંઓછા ગુણ આવે તો કયા ગુણને આધારે ઍડ્મિશન આપવામાં આવશે? આ સંદર્ભે હજી બોર્ડે સ્પષ્ટતા કરી નથી.