ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 જુલાઈ, 2021
બુધવાર
મહારષ્ટ્રમાં થયેલી અતિવૃષ્ટિ અને મહાપૂરમાં સેંકડો લોકોએ જાન ગુમાવ્યા છે, તો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ દુર્ઘટના બાદ જોકે મહારાષ્ટ્ર સરકારે તાત્કાલિક ધોરણે એક બેઠક યોજી હતી, જેમાં રાજ્યના કિનારાપટ્ટી પર આવેલાં ગામોમાં લગભગ 171 કિલોમીટર લાંબી સેફ્ટી વૉલ બાંધવાને મુદ્દે ચર્ચા થઈ હતી. સરકારના આ નિર્ણય સામે જોકે પર્યાવરણના નિષ્ણાતોએ આંખ લાલ કરી છે. કિનારાપટ્ટી પર આવેલા ગામને પૂર અને વરસાદથી બચાવવા માટે દીવાલ બાંધવાના નિર્ણયને ભૂલભરેલો ગણાવ્યો હતો. અમુક નિષ્ણાતોએ આ નિર્ણય બિલ્ડર લૉબીને ફાયદો કરાવવા માટે લીધો હોવાનો આરોપ કર્યો છે.
જમ્મુ અને કાશ્મીરના આ જિલ્લામાં વાદળ ફાટતા તબાહી: અત્યાર સુધીમાં 7 લોકોના મોત 30થી 40 લોકો ગુમ
પર્યાવરણવાદી અને રાજ્યના પ્લાનિંગ ઑથૉરિટીના ભૂતપૂર્વ અધ્યક્ષ એચ. એમ. દેસરડાએ આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે નૈસર્ગિક સંરક્ષક દીવાલનો નાશ કરીને હવે પૈસા કમાવવા માટે નવો ધંધો ચાલુ કરવામાં આવ્યો છે. આ નિર્ણય ફક્ત બાંધકામ ઉદ્યોગના લોકોને ફાયદો કરવા માટે છે. વિકાસને નામે રાજ્યના કિનારા પર આવેલા મેન્ગ્રોવ્ઝ અને જંગલોનો ખાતમો બોલાવી દીધો છે. મુંબઈમાં બાંદરા-કુર્લા કૉમ્પલેક્સ ઊભું કરવા માટે પણ ખાડી પર ભરણી કરવામા આવી હતી. જેમાં મોટા પાયા પર મેન્ગ્રોવ્ઝનો નાશ કરવામાં આવ્યો હતો. જેને પરિણામે આજે બાંદરા-કુર્લા કૉમ્પલેક્સમાં થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે.