ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 જાન્યુઆરી 2022
બુધવાર.
પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી રદ કરવામાં આવી છે. નવા કૃષિ કાયદા રદ થયા બાદ પીએમ નરેન્દ્ર મોદી પહેલીવાર પંજાબ જવાના હતા અને ફિરોઝપુર જવા માટે પણ રવાના થયા હતા, પરંતુ સુરક્ષાના કારણોસર રેલી રદ કરવી પડી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાને ગંભીર નોંધ લઈને એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. ગૃહ મંત્રાલયના સત્તાવાર નિવેદન અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના ભટિંડા અને ફિરોજપુરમાં રેલીને સંબોધિત કરવાના હતા. હુસૈનવાલામાં નેશનલ માર્ટર મેમોરિયલથી લગભગ 30 કિલોમીટર દૂર એક ફ્લાયઓવર પર પીએમનો કાફલો પહોંચ્યો ત્યારે ફ્લાયઓવરથી થોડે દૂર કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા રોડને બ્લોક કરેલો જોઈને SPG હરકતમાં આવી ગઈ હતી. લગભગ પીએમ મોદી તથા તેમના કાફલાને આશરે 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ રહેવું પડ્યું હતું.
ગૃહમંત્રાલયે આગળ કહ્યું કે વડાપ્રધાનની સુરક્ષામાં આ પ્રકારની ખામી બાદ પીએમ મોદીના કાફલાને ભટિંડા એરપોર્ટ ખાતે પરત ફરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરક્ષામાં આ ગંભીર ચૂકની નોંધ લેતા ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. રાજ્ય સરકારને પણ આ ચૂકની જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા જણાવ્યું છે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે ઈમરજન્સી પ્લાન અનુસાર, પંજાબ સરકારે પણ વડાપ્રધાન મોદી માટે વધારાની સુરક્ષાની વ્યવસ્થા કરવાની જરુર હતી જેથી કરીને પીએમ મોદીનો કાફલો સરળતાથી જઈ શકે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના શેડ્યૂલ મુજબ તેઓ અહીં રેલી સ્થળ પરથી 42,750 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના હતા.