ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર.
મુંબઈમાં શનિવાર રાતના ચાર કલાકના મુશળધાર વરસાદે દાદર-હિંદમાતા પરિસરના વેપારીઓની ફરી એક વખત આર્થિક કમર ભાંગી નાખી છે. દુકાનમાં દોઢથી બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. આખી રાત પાણી ભરાઈ રહેતા દુકાનમાં રહેલા માલને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. રવિવાર દુકાનો બંધ રાખવાના સરકારના કાયદાને કારણે વેપારીઓ પોતાની દુકાનો રવિવારે ખોલી શકયા નહોતા. સોમવારના સવારના દુકાન પહોંચી ગયેલા વેપારીઓને તેમની દુકાનમાં પાણી ભરાવાને કારણે માલને થયેલા નુકસાનીનો અંદાજો મેળવી રહ્યા છે. તેથી કોરોનાને કારણે પહેલાથી ધંધામાં નુકસાન સહન કહેલા રહેલા વેપારીઓ માટે વરસાદ અને સરકારના આ કાયદો દુકાળમાં અધિક માસ સમાન બની ગયો છે.
ન્યુ હિંદમાતા ક્લોથ મર્ચન્ટ અસોસિયેશનના ચેરમેન દિનેશભાઈ ત્રિવેદીએ ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે શનિવાર અને રવિવાર દુકાનો ખોલવાની મંજૂરી નથી. તેથી ભારે વરસાદથી દુકાનોમાં પાણી ભરાઈ ગયા હોવા છતાં મોટાભાગના વેપારીઓ રવિવારે પોતાની દુકાનો ખોલી શકયા નહોતા. જો રવિવારે દુકાન ખોલી શકયા હોત તો એટલીસ્ટ દુકાનમાં ભરાયેલા પાણીનો નિકાલ કરી શકયા હોત. માલ-સામાન વધુ નુકસાન થતું બચાવી શકાતે. હિંદમાતામાં મોટાભાગની કપડાની દુકાનોમાં દોઢથી બે ફૂટ સુધી પાણી ભરાયા હતા. પહેલાથી કોરોનાને પગલે આર્થિક નુકસાની સહન કરી રહ્યા છે. તેમાં શનિવારના વરસાદને પગલે અહીં કપડાના 200થી વધુ વેપારીઓને કરોડો રૂપિયાનું ફરી નુકસાન થયું છે.
હિંદમાતામાં કપડાની દુકાન ધરાવતા ભૂપેનભાઈએ જણાવ્યું હતું કે શનિવારના વરસાદે ભારે તારાજી સર્જી છે. દુકાનમાં માલ-સામાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અમુક વેપારીઓ માંડ માંડ રવિવારના દુકાને પહોંચી ગયા હતા અને દુકાનમાં ભરાયેલા પાણીનો નિકાલ કર્યો હતો. તો મોટાભાગના વેપારીઓ સોમવારના સવારના દુકાનમાં પહોંચ્યા ત્યારે તેમને નુકસાનીનો અંદાજો આવ્યો હતો. સોમવાર સવારથી ફરી જોરદાર વરસાદ પડી રહ્યો છે, તેથી જો આજે પણ શનિવાર જેવી થાય તો અમારી મુશ્કેલી વધી જશે.