દાળ-કઠોળની સ્ટૉક-મર્યાદાને કેન્દ્ર સરકારે પાછી ખેંચી લેતાં હોલસેલરો અને ઇમ્પૉર્ટરો ખુશ, જોકે રિટેલરો હજી પણ નારાજ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 20 જુલાઈ, 2021

મંગળવાર

કેન્દ્ર સરકારે દાળ-કઠોળ પર લાદેલી સ્ટૉક-મર્યાદાને પાછી ખેંચી લીધી છે. હોલસેલ વેપારીઓ પર લાદેલી કઠોળમાં 200 મૅટ્રિક ટનની સ્ટૉક-મર્યાદાને હવે 500 ટન કરી નાખવામાં આવી છે, તો ઇમ્પૉર્ટરો માટે સ્ટૉક-મર્યાદા જ હટાવી દેવામાં આવી છે. એથી હોલસેલ વેપારી તેમ જ દાળમિલના માલિકોને  થોડી રાહત થઈ છે. જોકે રિટેલ વેપારીઓને અગાઉની જ પાંચ ટનની સ્ટૉક-મર્યાદા ચાલુ રાખવામાં આવી છે. એથી રિટેલ વેપારીઓમાં થોડી નારાજગી છે.

સ્ટૉક-મર્યાદાના બે જુલાઈના નોટિફિકેશનના રદ કરવા બદલ કન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે વેપારીઓની લડતે રંગ રાખ્યો છે. વેપારીઓની માગણીને સરકારે માન્ય કરી છે. સરકાર સાથે કૈટની સતત બેઠકો ચાલી રહી હતી. શનિવારની બેઠક બાદ સોમવારે સરકારે નવું નોટિફિકેશન જાહેર કરીને વેપારી વર્ગ માટે રાહતભર્યું પગલું ઊંચકયું છે. એથી હોલસેલરોની સાથે જ દાળમિલના માલિકોને રાહત થશે.

સ્ટૉક-મર્યાદા પાછી ખેંચી લેવાના નિર્ણય બાબતે ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલ સીડ્સ મર્ચન્ટ્સ ઍસોસિયેશન (ગ્રોમા)ના પ્રમુખ શરદ મારુએ જણાવ્યું હતું કે વેપારીઓની ઝુંબેશ સફળ થઈ છે. વેપારીઓ સામે સરકારને પીછેહટ કરવી પડી છે. સરકાર સાનમાં સમજી ગઈ હતી કે આ તેમની મોટી ભૂલ છે. સરકારને તેમની ભૂલ સમજાઈ જતાં તેમણે સ્ટૉક-મર્યાદાના નિર્ણયને પાછો ખેંચી લીધો છે. એમાં પણ ઇમ્પૉર્ટરો માટે તો સ્ટૉક-મર્યાદા જ રાખી નથી. એથી તેમના માટે તો ધંધો કરવો વધુ સરળ થઈ જવાનો છે.

સરકારની સ્ટૉક-મર્યાદાના નિર્ણય સામે સોલાપુરમાં વેપારીઓએ અને દાળમિલના માલિકોએ અઠવાડિયાથી પણ વધુ સમય સુધી દુકાનો અને વેપારધંધા બંધ રાખ્યાં હતાં. ત્યારે સરકારના નવા નોટિફિકેશન બાબતે સોલાપુર ચેમ્બર ઑફ કૉર્મસ ઍન્ડ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઍગ્રિકલ્ચરના પ્રેસિડન્ટ રાજુ રાઠીએ જણાવ્યું હતું કે સરકારના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. અમારી માગણીનો સરકારે સ્વીકાર કર્યો છે, પરંતુ હજી પણ અમે સંતુષ્ટ નથી. સરકારે વેપારીઓ માટે સ્ટૉક-મર્યાદા રાખવી જ ના જોઈએ. આયાત-નિકાસને સ્ટૉક-મર્યાદામાંથી મુક્તિ આપવી જોઈએ. જો કોઈને નિકાસનો મોટો ઑર્ડર મળે તો આ સ્ટૉક-મર્યાદાને કારણે તે બંધાઈ જશે. પહેલાંથી જ કોરોનાને કારણે વેપારીઓએ ભારે નુકસાન ભોગવ્યું છે, ત્યારે સરકારે હવે વેપારીઓને છૂટથી ધંધો કરવા દેવો જોઈએ.

હોલસેલરોને તો સ્ટૉક-મર્યાદાથી મુક્તિ મળી છે, પરંતુ રિટેલરોને કોઈ રાહત મળી નથી. રિટેલરોમાં એથી ભારે નારાજગી વ્યાપી ગઈ છે. ધ મુંબઈ ગ્રેન ડીલર્સ ઍસોસિયેશનના પ્રેસિડન્ટ રમણીક છેડાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે રિટેલરોને કોઈ રાહત આપવામાં આવી ન હતી. મિનિસ્ટર પીયૂષ ગોયલ સાથે મિટિંગ થઈ હતી અને ભારે માથાકૂટ પણ થઈ હતી, પણ તેઓ સાંભળતા નથી. રિટેલ માટે ફકત પાંચ ટનની મર્યાદા રાખી છે, જેનાથી વેપારીઓ નારાજ છે. જોકે રિટેલમાં સ્ટૉક-મર્યાદા વધારી આપે એ માટે પાછી કોશિશ ચાલુ છે. રિટેલ વેપારીઓને પાંચ ટન મર્યાદા આપી છે. એથી તેઓ પણ  લિમિટેડ ખરીદી જ  કરી શકવાના છે. અમે વધુ સ્ટૉક નહીં કરી શકીએ. એથી હોલસેલરોને કંઈ ફાયદો થવાનો નથી.

કોલ્હાપુરમાં ફરી એક વખત દુકાનો ખૂલતાં વેપારીઓએ વિજય સરઘસ કાઢ્યું, વેક્સિન લેનાર માટે ખાસ ડિસ્કાઉન્ટ; જુઓ વીડિયો અને જાણો વિગત

સરકારના નવા નોટિફિકેશન બાબતે વધુ બોલતાં તેઓએ કહ્યું હતું કે અમારી માગણી 20 ટન મર્યાદાની કરી આપવાની હતી. ઍટલિસ્ટ 10 ટન કરી હોત તો કંઈ ફાયદો થયો હોત. રિટેલરો અલગ અલગ ક્વૉલિટીના અલગ-અલગ માલ રાખે તો 8થી 10 ટન માલ થઈ જતો હોય છે. મર્યાદા વધારી હોત તો વેપારીની સાથે ગ્રાહકોને પણ ફાયદો થયો હોત. પહેલાં પાંચ ટનની ઉપર સ્ટૉક રાખવા રિટેલ ડીલર્સ  લાઇસન્સ (RDL) રાખવું પડતું હતું. પછી સ્ટૉક-મર્યાદા હટાવી દીધી. જોકે બાદમાં તો લાઇસન્સ હોય કે ના હોય પાંચ ટનથી ઉપર માલ રાખી જ શકાતો નથી. જોકે હવે અમે પાછું સરકારને વિનંતી કરવાના છીએ.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More