ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 જુલાઈ, 2021
મંગળવાર
મહારાષ્ટ્રના કોકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં આવેલા પ્રલયકારી મહાપૂરમાં હજારો પરિવારને નુકસાન થયું છે. હજારો વેપારીઓના વેપારધંધા સાથોસાથ બધું છીનવાઈ ગયું છે. ત્યારે રાજ્યના છ અસરગ્રસ્ત જિલ્લામાં લગભગ 8,000થી વધુ વેપારીઓને તાત્કાલિક નુકસાની ભરપાઈ કરી આપી, તેમને ફરી વેપાર ચાલુ કરવા માટે વ્યાજ વગર લોન આપવાની માગણી વેસ્ટર્ન મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉર્મસ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઍગ્રિકલ્ચરલ(વેસમેક)એ સરકાર સમક્ષ કરી છે.
વેસ્ટર્ન મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉર્મસ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઍગ્રિકલ્ચરલ (વેસમેક)ના પ્રેસિડન્ટ લલિત ગાંધીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે ચેમ્બર દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક સર્વેક્ષણમાં રાયગડ, સિંધુદુર્ગ, રત્નાગિરિ, કોલ્હાપુર, સાંગલી, સતારા જેવા છ જિલ્લામાં 8,000થી વધુ વેપારીઓનું સર્વસ્વ પૂરનાં પાણીમાં ડૂબી ગયું હોવાનું જણાયું છે. પ્રાથિમક નુકસાનનો આંકડો લગભગ 1,700 કરોડ રૂપિયાથી પણ વધુ છે. અસરગ્રસ્ત વેપારીઓને સરકારની મદદની તાતી આવશ્યકતા છે. અનેક વિસ્તારમાં વીમા કંપનીઓ દ્વારા ક્લેમ આપવામાં અડચણો આવી રહી છે. એથી સરકારે હસ્તક્ષેપ કરીને વીમા કંપનીઓને આદેશ આપવો જોઈએ તેમ જ લોન આપનારી બૅન્કોને પણ સ્પષ્ટ આદેશ આપવાની જરૂર છે.
મહારાષ્ટ્ર સરકારને મદદ કરવાની અપીલ કરતો પત્ર વેસ્ટર્ન મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉર્મસ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઍગ્રિકલ્ચરલે લખ્યો હોવાનું જણાવતાં લલિત ગાંધીએ કહ્યું હતું કે સરકારે તમામ અસરગ્રસ્ત વેપારીઓને થયેલા નુકસાનનું પંચનામું કરીને ઉપાયયોજના અમલમાં મૂકવી જોઈએ. અમારી માગણી અત્યંત નાના વેપારીને તાત્કાલિક મદદરૂપે બે લાખ રૂપિયાનું વળતર, મધ્યમથી મોટા વેપારીને તાત્કાલિક સ્વરૂપે પાંચ લાખ રૂપિયાની મદદ કરવી જોઈએ. જે વેપારીઓનો ઇન્સ્યૉરન્સ નથી તેમને નુકસાનીના 50 ટકા રકમ કુલ નુકસાનની ભરપાઈ તરીકે આપવી, જે વેપારીઓનો ઇન્સ્યૉરન્સ છે તેમને વગર કોઈ તકલીફે ક્લેમ મળી જાય એ માટે જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે સંયુક્ત સમિતિની સ્થાપના કરીને કામ ઝડપથી કરવાની માગણી છે.
સંસ્થાએ સરકાર સમક્ષ કરેલી માગણી બાબતે વધુ માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે વેપારીઓએ તેમના ધંધા માટે લીધેલા ક્રેશ ક્રેડિટ લોનને હાલની પરિસ્થિતિમાં ચૂકવવી મુશ્કેલ છે. એથી તેમની લોનની પાંચ વર્ષની ટર્મ લોનમાં રૂપાંતર કરવી. વેપારીઓને નવેસરથી ધંધો ચાલુ કરવા માટે કૅપિટલ કૅશ ક્રેડિટના સ્વરૂપમાં તાત્કાલિક આપવી. જૂની અને નવી લોન પર એક વર્ષનું વ્યાજ સરકારે ભરવું, જેથી વેપારીઓને વધુ આર્થિક ભાર આવે નહીં. પૂરગ્રસ્ત વિસ્તારના વેપારીઓના તમામ પ્રકારના કર ભરવા માટે વ્યાજ વગર અને વગર દંડે એક વર્ષની મુદત વધારી આપવાની માગણી કરવામાં આવી છે.
2019ની સાલ બાદ બે વર્ષમાં જ ફરી એક વખત મહાપૂરનો સામનો કરવો પડ્યો છે. પહેલાંથી કોરોનાને પગલે સંકટમાં રહેલા વેપારીઓની આર્થિક પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. કોલ્હાપુર, સાંગલી સહિત મહાડ, ચિપળૂણ, બાંદા જેવા કોકણના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આવેલી બજારમાં વરસાદે અને પૂરે ભારે તારાજી સર્જી છે. સમાજનો તમામ વર્ગ પૂરનો ભોગ બન્યો છે. વેપારીઓ ખુદ આ આપત્તિનો ભોગ બન્યા છે, છતાં સમાજના અન્ય લોકોની મદદે આગળ દોડી આવ્યા છે. મોટા પ્રમાણમાં તેઓ સમાજના અન્ય વર્ગને મદદ પણ પહોંચાડી રહ્યા છે. લોકોને ધાન્ય પહોંચાડી રહ્યા છે, ત્યારે આ વેપારી વર્ગને પણ મદદની આવશ્યકતા છે એવું લલિત ગાંધીએ કહ્યું હતું.