ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,26 જૂન 2021
શનિવાર
મહારાષ્ટ્રના તમામ શહેરોને લેવલ 3 મુજબના નિયમો લાગૂ પડશે એવી જાહેરાત શુક્રવારે સરકારે કરી હતી. આ નવા નિયમને કારણે વેપારી આલમમાં ફરી નારાજગી વ્યાપી ગઈ છે. ખાસ કરીને જયારે ફેરિયાઓ બિન્ધાસ ધંધો કરી રહ્યા છે અને નિયમોનું પાલન કરનારા પ્રામાણિક વેપારીઓ પર દુકાનો બંધ કરવાનો સમય આવ્યો છે. તેથી વેપારી વધુ રોષે ભરાયા છે.
મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટને કારણે એક દર્દીનું મોત થયું છે. તથા આગામી દિવસોમાં ત્રીજી લહેર આવવાની શકયતા છે. એવુ કારણ આગળ કરીને મહારાષ્ટ્ર સરકારે વેપારી વર્ગને વધુ છૂટછાટ આપવાનો ઈનકાર કરી દીધો છે. તેમ જ જે શહેરો લેવલ 2 હેઠળ હતા જયાં તમામ છૂટછાટ હતી, તે શહેરો પણ હવે લેવલ 3 આવી ગઈ છે. તેથી અહી પણ તમામ દુકાનો સાંજે ફકત 4 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. વેપારીઓ પર અનેક પ્રતિબંધ અને તેની સામે ફેરિયાઓ રસ્તા પર બેસીને બિન્ધાસ ધંધો કરી રહ્યા છે. તેમને કારણે રસ્તા પર ભીડ વધી રહી છે. ભીડને કારણે કોરોનાનો ચેપ ફેલાવાનું જોખમ વધારે છે. છતાં ફેરિયાઓ અને વેપારી માટે નિયમો કેમ અલગ? સરકારનો આ કેવો ન્યાય ? એવા સવાલ વેપારી કરી રહ્યા છે.
મુંબઈ, થાણેની સાથે પાલઘર જિલ્લામાં આવેલા વસઈમાં પણ મોટા પ્રમાણમાં વેપારીઓ સરકારની નવી માર્ગદર્શિકાને કારણે નારાજ થઈ ગયા છે. પાલઘર જિલ્લાને ફરી લેવલ 3માં મૂકી દેવામાં આવ્યું છે. તેથી દુકાનો અને હોટસ સાંજે 4 વાગે બંધ થઈ જાય છે. તેની સામે રસ્તા પર ફેરિયાઓ મોટા પ્રમાણમાં નિયમોનું ઉલ્લંઘન કરતા નજર આવી રહ્યા છે. ફેરિયાઓ, રસ્તા પર ખાદ્યપદાર્થ વેચનારા લોકોને કારણે લોકો મોટી સંખ્યામાં ભીડ કરી રહ્યા છે. વિરાર જકાત નાકા મેદાન, નારિંગી, તુળિંજ, આચોળે, વસંત નગરી વિસ્તારામાં તો બજાર ભરાઈ રહી છે. તેથી વધુ ભીડ થઈ રહી હોવાની ફરિયાદો થઈ રહી છે.
કાપડના વેપારીઓ હવે રાહત ઇચ્છે છે, વેપારી અગ્રણીઓએ કરી નેતાની મુલાકાત, મૂકી આ માગણી; જાણો વધુ વિગત
મંગલદાસ માર્કેટ સાથે જોડાયેલા વેપારી ભાગચન્દ્ર જૈને કહ્યું હતું વેપારીઓને સમયમર્યાદા આપી છે. તે મુજબ દૂધવાળા, શાકભાજી તથા ફળ-ફ્રૂટ વેચનારાને પણ સમય આપી દેવો જોઈએ. લોકોની રસ્તા પર ભીડ થાય નહીં તે માટે આ લોકોને સવારના 5થી 10 વાગે સુધી જ રસ્તા પર બેસવાની મંજૂરી આપવી. તો સવારના 10થી સાંજે 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવી જોઈએ. તેથી કોરોનાના નિયમોનું પણ પાલન થશે. રસ્તા પર ભીડ પણ નહીં થાય અને તમામ લોકોના રોજગારી ધંધા પણ જળવાઈ રહેશે.