ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
ઇઝરાયલે કન્ઝ્યુમર ગુડ્સ બનાવતી કંપની યુનિલીવરને ‘ભયંકર પરિણામો ભોગવવા’ અંગે ચેતવણી આપી છે. હકીકતમાંયુનિલીવરની માલિકીની કંપની 'બેન ઍન્ડ જેરી'એ ઇઝરાયલ દ્વારા નિયંત્રિત વિસ્તારોમાં આઇસક્રીમનું વેચાણ નહીં કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફઇઝરાયલે યુએસ પ્રાંતોને પણ બહિષ્કારવિરોધી કાયદા લાગુ કરવા અપીલ કરી છે.
બેન ઍન્ડ જેરીએ કહ્યું છે કે ઇઝરાયલી ભાગીદારનું લાઇસન્સ આવતા વર્ષે સમાપ્ત થાય છે અને તેને ફરીથી રિન્યુ કરવામાં આવશે નહીં. જોકે કંપની ઇઝરાયલમાં કામકાજ ચાલુ રાખશે, પરંતુ એની શરતો અલગ હશે. વેસ્ટ બૅન્ક અને પૅલેસ્ટાઇનના લોકો આઝાદીની માગ કરી રહ્યા છે એવા વિસ્તારોમાં કંપનીની આઇસક્રીમ વેચવામાં આવશે નહીં.
ઇઝરાયલના વડા પ્રધાન નફ્તાલી બેનેટની ઑફિસે આ અંગે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે તેણે યુનિલીવરના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર એલાન જોપને ‘ઇઝરાયલવિરોધી ઉશ્કેરણીજનક પગલા’ અંગે ફરિયાદ કરી છે. મીડિયા અહેવાલો મુજબ નફ્તાલી બેનેટે ફોન પર એલન જોપને કહ્યું કે “ઇઝરાયલની દૃષ્ટિએ આ પગલાનાં ગંભીર પરિણામો આવશે. નાગરિકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા બહિષ્કારની કોઈપણ કાર્યવાહી વિરુદ્ધ મજબૂત કાયદાકીય અને અન્ય પગલાં લેવામાં આવશે."
ઉલ્લેખનીય છે કે યુનિલીવરે હજી સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. વિશ્વના મોટાભાગના દેશો ઇઝરાયલી વસાહતોને ગેરકાયદે માને છે, પરંતુ ઇઝરાયલ આ દલીલો સ્વીકારતું નથી. ઇઝરાયલે યહૂદી વસ્તી ધરાવતી જમીન માટે ઐતિહાસિક અને સુરક્ષા કારણો ટાંક્યાં છે.