પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
પિતાજી, હવે તમે ભગવાનનો આશ્રય લઇ ભગવાનમય જીવન ગાળો. ભગવાનમય જીવન ગાળવા માટે ધ્યાન, જપ,
અને પાઠ અતિ આવશ્યક છે. ઉત્તમ પાઠનાં છ અંગ છે. મધુરતા, સ્પષ્ટ અક્ષરનો ઉચ્ચાર, પદચ્છેદનું જ્ઞાન, ધીરજ, લયનું
સામર્થ્ય અને મધુર કંઠ. પાઠ શાંત ચિત્તે કરવો. ઉતાવળથી સમજયા વગર પાઠ ન કરવો.
આત્મદેવ ગંગા કિનારે આવ્યા. માનસી સેવા કરવા લાગ્યા. એકાંતમાં મનને એકાગ્ર કરે છે. ચંચળ મનને વિવેકરૂપી
બોધથી સાચવવું અને ધ્યાનમગ્ન રાખવું. સંકલ્પ-વિકલ્પથી દૂર રાખવું. માનસિ સેવામાં મનની ધારા અતૂટ રહેવી જોઇએ. એવી
સેવામાં દિવ્યતા રહેલી છે. ઉચ્ચ સ્વરથી જપ પાઠ કરવાથી મનની એકાગ્રતા થાય છે. નિરોધ થાય છે. આત્મદેવ સતત ભાગવત
ધ્યાનમાં તન્મય બન્યા છે. નિવૃત્તિમાં સતત સત્કર્મ થવું જોઇએ. નહિતર નિવૃતિમાં પાપ બહાર આવે છે. આત્મદેવ દશમ સ્કંધનો
પાઠ કરે છે. ભાગવતના દશમ સ્કંધનો નિત્ય પાઠ કરવાથી આત્મદેવ ખરેખરો દેવ બન્યો. આત્મા પરમાત્માને મળે છે ત્યારે તે દેવ
બને છે. આજે જીવ અને શિવ એક બન્યા છે. જીવ અને ઈશ્વરનું મિલન થયું. ભાગવતનો આશ્રય કરે તે ભગવાન બને, જે
ઈશ્વરનો થાય છે. તેને પરમાત્મા અનેક ગણો પોતાના કરતાં પણ મોટો બનાવે છે.
પરમાત્માનાં બે સ્વરૂપો:-એક અર્ચા સ્વરૂપ અને બીજું નામ સ્વરૂપ. સામગ્રીથી જેની સેવા થાય એ અર્ચા સ્વરૂપ. શ્રીમદ્
ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે. નામ સ્વરૂપ વિના સ્વરૂપ સેવા ફળતી નથી, નામ સ્વરૂપમાં જયાં સુધી નિષ્ઠા ન થાય
ત્યાં સુધી સ્વરૂ૫ સેવામાં પ્રીતિ થતી નથી. સ્વરૂપ સેવા બરાબર થતી નથી તેનું કારણ એ છે કે મનશુદ્ધિ નથી. મનશુદ્ધિ વગર
સ્વરૂ૫ સેવામાં આનંદ મળતો નથી. સેવા કરવાવાળા સંસાર સાથે સ્નેહ કરે છે, ત્યાંસુધી તેમને સ્વરૂપ સેવાનો આનંદ મળતો
નથી. સેવા કરવી હશે તો સંસારનો સ્નેહ છોડવો પડશે, સંસારના વિષયો સાથે સ્નેહ કરો, પણ વિવેકપૂર્વક સ્નેહ કરો. અગ્નિ બાળે
છે. પણ તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે ઉપયોગી થઇ પડે છે. અગ્નિ ન હોય તો મનુષ્યનું પોષણ થઇ શકે નહિ.
સંસારમાં જયાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી મનુષ્ય સંસારને છોડી શક્તો નથી. જે મન માયાનો સ્પર્શ કરે છે તે મન
મોહનની સેવામાં જઈ શકતું નથી. મન વારંવાર માયાના વિચાર કરે છે, ત્યારે તે મલિન બને છે. નામ સેવા એટલા માટે છે કે નામ
સેવાથી મન શુદ્ધ થાય છે. જયાં સુધી સ્વરૂપ સેવામાં મન એકાગ્ર ન થાય, ત્યાં સુધી નામ સેવા કરો.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૨૧
સ્વરૂપ સેવામાં આનંદ આવતો નથી, કેમકે મન વ્યગ્ર છે. આપણું મન ઇશ્વરને છોડીને વારંવાર વિષયો તરફ જાય છે.
મનુષ્યનું મન સંસાર વ્યવહારના વિષયોમાં એવું તદ્રુપ થાય છે કે તે પાપ કરે છે તેનું પણ તેને ભાન રહેતું નથી. સ્વરૂપ સેવા કરતાં
હ્રદય પીગળે, આંખો ભીની થાય, આનંદ આવે અને સાત્વિક ભાવ જાગે, તો સેવા સફળ થઈ છે એમ સમજજો. સેવા એ હ્રદયનો
ભાવ છે. હ્રદયના ભાવ વગર કરેલી સેવા ફળતી નથી. જીવ શુદ્ધ થઈ પરમાત્માની સેવા કરે છે, ત્યારે ઠાકોરજી પ્રેમથી પ્રસન્ન થાય
છે.
મનમાં અનેક જન્મોના મેલ ભર્યા છે. સ્વરૂપ સેવામાં મનશુદ્ધિ આવશ્યક છે. મનશુદ્ધિ નથી એટલે સ્વરૂપ સેવા ફળતી
નથી. મનને શુદ્ધ કરવા નામ સેવાની જરૂર છે. મન શુદ્ધ કરે છે ભાગવત. કળિયુગમાં નામસેવા પ્રધાન છે. શ્રીમદ્ ભાગવત એ
ભગવાનનું નામ સ્વરૂપ છે. નામ એ જ બ્રહ્મ છે નામ એ જ પરમાત્મા છે. વધુ શું કહું? નામ એ પરમાત્મા કરતાં પણ શ્રેષ્ઠ છે.
ઇશ્વર દેખાતા નથી. જે દેખાતા નથી તેની સાથે સ્નેહ કરવો કઠણ છે. નામ સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે. જે વ્યક્તિમાં પ્રત્યક્ષ દર્શન ન
થયા હોય તેનાં નામને પકડી રાખો, તો જરૂર તેનાં દર્શન થશે.
ઈશ્વરનું સ્વરૂપ સર્વ માટે સુલભ નથી. પણ નામ સ્વરૂપ સુલભ છે. જ્ઞાની પુરુષો નામમાં નિષ્ઠા રાખે છે. નામનો
આશ્રય કરે છે. નામ એજ ઈશ્વરનું સ્વરૂપ છે.
રામજીએ થોડા જીવોનો ઉદ્ધાર કર્યોં હશે. પણ ત્યાર પછી તેમના નામે અનેકોના ઉદ્ધાર કર્યા છે. કૃષ્ણ પૃથ્વી ઉપર
બિરાજેલા, ત્યારે તેમણે જે જીવોનો ઉદ્ધાર કર્યોં, તેના કરતાં તેના નામે અનેકોને તાર્યા છે.
મોટામાં મોટું પાપ કયું? આપણને ઇશ્વરના નામમાં નિષ્ઠા નથી તે.