પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
પાંચમો અવતાર કપિલ દેવનો-જ્ઞાન વૈરાગ્યનો. વૈરાગ્ય જીવનમાં ઉતારો. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ આવશે, તો
કાયમને માટે સ્થિર રહેશે.
છઠ્ઠો અવતાર દત્તાત્રેયનો. ઉપરના પાંચ ગુણો બ્રહ્મચર્ય, સંતોષ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય તમારામાં આવશે તો તમે
ગુણાતીત થશો. તમે અત્રિ થશો તો ભગવાન તમારે ત્યાં આવશે.
ઉપરના છ અવતારો બ્રાહ્મણ માટેના. સાતમો અવતાર યજ્ઞનો. આઠમો અવતાર ઋષભદેવનો. નવમો પૃથુરાજાનો.
દશમો મત્સ્યનારાયણનો. આ ચાર અવતારો ક્ષત્રિયો માટેના છે. ક્ષત્રિયધર્મનો આદર્શ બતાવવા માટેના છે.
અગિયારમો અવતાર કૂર્મનો. બારમો અવતાર ધન્વંતરીનો. તેરમો અવતાર મોહિની નારાયણનો. આ અવતારો વૈશ્ય
માટેના છે. વૈશ્યના જેવી પ્રભુએ લીલા કરી છે.
ચૌદમો અવતાર નૃસિંહ સ્વામીનો. એ પુષ્ટિનો અવતાર છે. પ્રહલાદ ઉપર, ભક્ત ઉપર કૃપા કરવા માટે આ અવતાર
થયેલો છે. નૃસિંહઅવતારમાં પ્રહલાદ ઉપર કૃપા કરી છે. પ્રહલાદ જેવી દૃષ્ટિથી જુઓ તો થાંભલામાં ભગવાનનાં દર્શન થશે. ઇશ્વર
સર્વવ્યાપક છે, એમ બોલશો નહિ. તેનો અનુભવ કરો તો પાપ થશે નહિ. સંતો પણ વ્યવહાર કરે છે. શરીર છે ત્યાં સુધી વ્યવહાર
કરવો પડશે.
ઈશ્ર્વરને મનુષ્ય મનશક્તિ કે બુદ્ધિશક્તિથી જીતી શકે નહિ. કેવળ પ્રેમથી જ જીતી શકે. યશોદાના પ્રેમ આગળ
શ્રીકૃષ્ણ દુર્બળ બને છે, અને બંધાય છે. બાળકના પ્રેમ આગળ માતાનું બળ દુર્બળ બને છે. પ્રેમ આગળ શક્તિ દુર્બળ બને છે.
તમે પણ પરમાત્મા માટે ખૂબ પ્રેમ વધારશો, તો ભગવાન દુર્બળ થઇને તમારે ત્યાં આવશે.
પંદરમો અવતાર વામન ભગવાનનો છે. જે પૂર્ણ નિષ્કામ છે. જેમના ઉપર ભક્તિનું, નીતિનું છત્ર છે અને જેણે ધર્મનું
બખ્તર પહેર્યું છે, તેને ભગવાન પણ મારી શકે નહિ, આ છે વામન ચરિત્રનું રહસ્ય. પરમાત્મા મોટા છે, તો પણ બલિરાજા આગળ
તેઓ વામન એટલે કે નાના બન્યા છે.
સોળમો અવતાર પરશુરામનો છે. આ આવેશ અવતાર છે. સત્તરમો વ્યાસ નારાયણનો જ્ઞાનાવતાર. અઢારમો રામજીનો
અવતાર, તે મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે. રામની મર્યાદાનું પાલન કરો એટલે તમારામાંનો કામ મરશે અને કનૈયો આવશે.
ઓગણીસમો અવતાર શ્રીકૃષ્ણનો. કૃષ્ણસ્તુ ભગવાન્ સ્વયમ્ । શ્રીકૃષ્ણ તો સ્વયં ભગવાન છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૪૦
રામકૃષ્ણ એક જ છે. મનુષ્ય દિવસમાં બે વાર ભાન ભૂલે છે. દિવસના બાર વાગે ભૂખથી ભાન ભૂલે છે અને રાત્રે
નિવૃત્તિમાં કામસુખની યાદ આવે છે, એટલે ભાન ભૂલે છે. એ બે વખતને સાચવવાના છે. દિવસે રામજીને યાદ કરો અને રાત્રે
શ્રીકૃષ્ણને. તો તે બંને સમય સચવાશે. રામજીની મર્યાદાનું પાલન કરો તો શ્રીકૃષ્ણ પુષ્ટિ-પુરુષોત્તમ, પુષ્ટિ એટલે કૃપા કરશે.
એકનાથજી મહારાજે આ બંને અવતારની સુંદર તુલના કરી છે. રામજી રાજમહેલમાં પધારે છે. કનૈયો કારાગૃહમાં. એકના
નામના અક્ષર સરળ, બીજાના જોડાક્ષર. ભણતરમાં પણ સરળ અક્ષર પહેલાં ભણાવે છે અને જોડાક્ષર પછી. રામ એ સરળ અક્ષર
છે. શ્રીકૃષ્ણ એ જોડાક્ષર છે. રામજીની મર્યાદા પાળો તે પછી કૃષ્ણાવતાર થશે. જેના ઘરમાં રામજી ન પધારે, ત્યાં શ્રીકૃષ્ણ પણ
આવતા નથી. રામજીનો અવતાર એટલે રામજીની મર્યાદાનું પાલન.
આ બે સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમના અવતાર છે. બાકીના સર્વ અવતારો અંશાવતાર છે. પૂર્ણ અવતાર અને અંશાવતારનું
રહસ્ય. અલ્પકાળ માટે તથા અલ્પ જીવના ઉદ્ધાર માટે જે અવતાર થાય છે તે અંશાવતાર. અને અનંતકાળ માટે તથા અનંત
જીવોનું કલ્યાણ કરવા માટે જે અવતાર થાય તે પૂર્ણાવતાર.
ભાગવતમાં કથા કરવાની છે કનૈયાની, પણ ક્રમે ક્રમે બીજા અવતારની કથા કહ્યા પછી અધિકાર પ્રાપ્ત થાય એટલે પછી
કનૈયો આવે. તે પછી હરિ, કલ્કિ, બુદ્ધ આદિ મળી ૨૪ અવતારો થયા છે.
કેટલાક બ્રહ્માંડમાં ઇશ્વરને જુએ છે. કેટલાક સંસારના સર્વ પદાર્થોમાં ભગવતસ્વરૂપનાં દર્શન કરે છે. આખું બ્રહ્માંડ
ભગવતરૂપ માને છે.
સર્વના દૃષ્ટા પરમાત્મા, માયાને લીધે દૃશ્ય જેવા ભાસે છે.
સ્થૂલ-સૂક્ષ્મ શરીરનું અવિદ્યાથી આત્મામાં આરોપણ કરવામાં આવે છે. જે અવસ્થામાં આત્મસ્વરૂપના જ્ઞાનથી આ
આરોપ દૂર થઈ જાય તે સમયે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. ઇતિ તદ્ બ્રહ્મ દર્શનમ્ નો સિદ્ધાંત સમજાવ્યો.