પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
કોઈપણ જીવને કાળની બીક લાગે છે. મૃત્યુની બીક મનુષ્યને જ લાગે છે તેવું નથી. બ્રહ્માજીને પણ કાળનો ડર લાગે
છે. ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે. ભાગવતમાં લખ્યું છે, ધ્રુવજી મુત્યુના માથા ઉપર પગ મૂકીને વૈકુંઠમાં ગયા છે. પરીક્ષિત
રાજા સમાપ્તિમાં બોલ્યા, મને કાળની બીક નથી. ભાગવત સાંભળ્યા પછી પરમાત્મા સાથે પ્રેમ કરે તેને કાળની બીક લાગતી નથી.
ભાગવતનો આશ્રય કરે તે નિર્ભય બને છે.
લોકો મૃત્યુને અમંગળ માને છે, પરંતુ તે અમંગળ નથી. મૃત્યુ એ પરમાત્માનો સેવક છે એટલે તે પણ મંગળ છે. ઠાકોરજી
પોતાનો દીકરો લાયક થયો કે નહિ તે જોવા માટે મૃત્યુને આજ્ઞા કરે છે કે તે જીવને પકડી લાવ, (પ્રભુને હિસાબ આપવાનો દિવસ
તે મરણ) જેને પાપનો વિચાર આવતો નથી તેનું મૃત્યુ મંગળમય થાય છે, જીવનમાં મનુષ્ય મરણની સાચી બીક રાખતો નથી, એટલે તેનું
જીવન બગડે છે, મરણ બગડે છે.
અંતકાળમાં મનુષ્યને જે ગભરામણ થાય છે તે કાળની નહિ પણ પોતે કરેલા પાપોની યાદથી થાય છે. પાપ, કરતી
વખતે મનુષ્ય ડરતો નથી. ડરે છે ત્યારે કે જયારે પાપની સજા થવાનો વખત આવે છે. વ્યવહારમાં લોકો એક બીજાની બીક રાખે છે
મુનીમ શેઠની, કારકુન અમલદારની વગેરે. ત્યારે મનુષ્ય કોઈ દિવસ ઇશ્વરનો ડર રાખતો નથી તેથી તે દુ:ખી થાય છે.
ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે. નિર્ભયતા ભગવાનનો આશ્રય કરવાથી પ્રાપ્ત થાય છે. હું મારા શ્રીકૃષ્ણનો અંશ છું. હું
ભગવાનનો છું. થોડા પૈસા ખીસ્સામાં હોય તો મનુષ્યને હિંમત રહે છે. ત્યારે પરમાત્માને નિત્ય સાથે રાખીને ફરે એ નિર્ભય બને
તેમાં શું આશ્ચર્ય? ભીતિ વગર પ્રભુમાં પ્રીતિ થતી નથી. કાળનો ડર રાખો. કાળની, મરણની ભીતિથી પ્રભુમાં પ્રીતિ થાય છે. માટે
પાપની, અધર્મની, કાળની ભીતિ રાખજો. મનુષ્ય કાયમ કાળની બીક રાખે, તો તેનાથી પાપ થશે નહિ. નિર્ભય થવું હોય તો પાપ
કરવાનું છોડી દેજો. ભાગવતશાસ્ત્ર આપણને નિર્ભય બનાવે છે. મનુષ્યને બીજી ભીતિ ન હોય તો પણ કાળની ભીતિ સર્વને છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૬
કામનો નાશ કરી ભક્તિમય,પ્રેમમય જીવન ગાળે તો, તે કાળ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. કામને મારે તે કાળનો માર ખાતો નથી.
કામના, કાળના મારમાંથી છૂટવું હોય તો પરમાત્મા સાથે ખૂબ પ્રેમ કરવો પડશે. ઇશ્વર સાથે પ્રેમ કર્યા વગર આ વિકારો, કામ,
ક્રોધ જતા નથી. પરમાત્મા સાથે પ્રેમ કરો એટલે કાળની બીક લાગશે નહિ. ધ્રુવજી મૃત્યુના માથા ઉપર પગ રાખી વૈકુંઠધામમાં
ગયા હતા. કાળ એ જ તક્ષકનાગનું સ્વરૂપ છે. કાળ તક્ષક કોઈને છોડતો નથી, કોઈની તેને દયા આવતી નથી. માટે આ જન્મમાં
જ કાળ ઉપર વિજય મેળવો. જ્યારે જન્મ થાય છે ત્યારે જ મૃત્યુનો સમય, સ્થળ અને મૃત્યુનું કારણ નકકી થઈ જાય છે.
પાપ કરવામાં મનુષ્ય જેટલો તત્પર રહે છે તેટલો પુણ્ય કરવામાં તત્પર રહેતો નથી. પાપ જાહેર થશે તો જગતમાં ખોટું
દેખાશે. પાપ એકાગ્ર ચિત્તથી કરે છે. એટલે જ અંતકાળે તેને પાપનું સ્મરણ થાય છે. તેથી અંતકાળે જીવ ગભરાય છે. તેને કરેલાં
પાપો પ્રત્યક્ષ દેખાય છે. મેં મરવાની કાંઈ તૈયારી કરી નથી. મારું હવે શું થશે? મનુષ્ય સર્વ કાર્ય માટે તૈયારી કરે છે, પણ મરવાની
તૈયારી કરતો નથી. લગ્નની તૈયારી કરો છો તેમ ધીરે ઘીરે મરણની પણ તૈયારી કરજો. મૃત્યુ માટે સાવધાન રહેજો. મૃત્યુ એટલે જ
પરમાત્માને જીવનનો હિસાબ આપવાનો પવિત્ર દિવસ. ભગવાન પૂછશે ‘મેં તને આંખ આપી હતી તેનું શું કર્યુ? કાન આપ્યા હતા તેનો
શું ઉપયોગ કર્યોં? તને તન, મન આપ્યાં હતાં તેનું શું કર્યું?’ આ હિસાબમાં જો ગરબડ હોય તો ગભરામણ થાય છે. સાધારણ
ઇન્કમટેક્ષ ઓફિસરને હિસાબ આપવાનો હોય છે, તો પણ મનુષ્ય ગભરાય છે. ઠકોરજીને વંદન કરે છે, હે પ્રભુ! મેં ચોપડા જુદા
જુદા બનાવ્યા છે. પણ ધ્યાન રાખજો. એક વરસનો હિસાબ આપવામાં આટલી ગભરામણ તો આખા જીવનનો હિસાબ આપતી
વખતે શું દશા થશે? પ્રભુએ આપણને જે આપ્યું છે, તેનો હિસાબ આપવો પડશે.