ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
બહુ જલદી મુંબઈગરાને રેલવે સ્ટેશનો પર ટિકિટ ખરીદવા માટે લાગતી લાંબી લાઈનોથી છુટકારો મળવાનો છે. રેલવે પ્રશાસને પરાંના સ્ટેશનો પર ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન(એટીવીએમ) મશીનો ફરી ચાલુ કરવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે.
મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. કોરોના પ્રતિબંધક વેક્સિન પણ 100 ટકા પૂર્ણ થવાની તૈયારીમાં છે. આ દરમિયાન લોકલ ટ્રેનમાં બધાને પ્રવાસ કરવાની છૂટ મળે તેને લગતી જનહીતની અરજી પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટે રાજ્ય સરકાર પાસે આ સંદર્ભમાં જવાબ માગ્યો છે. રાજય સરકારે ત્રણ દિવસમાં નવા નોટિફિકેશન બહાર પાડવાની વાત કરી છે. જો રેલવે પરના પ્રવાસના પ્રતિબંધો હટાવી દેવામાં આવે તો રેલવે સ્ટેશનો પર ભીડ હજી વધવાની છે, તેની અસર ટિકિટ બારી પર જોવા મળવાની છે.
આ બધામાં રેલવેએ આગોતરી પગલારૂપે પરાના સ્ટેશન પર ટિકિટ માટે થનારી લાંબી લાઈનને ધ્યાનમાં રાખીને એટીવીએમ મશીન બહુ જલદી ચાલુ કરવાની છે. હાલ પરાના વેસ્ટર્ન અને સેન્ટ્રલના અમુક સ્ટેશનો પર સહાયકોની મદદથી એટીવીએમ મશીન ચાલુ કરી દેવામાં આવ્યા છે.
તાજેતરના આંકડા મુજબ રેલવે પાસે 829 એટીવીએમ છે, જેમાંથી હાલ અમુકને ફેસિલિટેટર સાથે ખોલવામા આવ્યા છે. જેથી ટિકિટ માત્ર વેક્સિનેટેડ પ્રવાસી જ ખરીદી શકે.
રાષ્ટ્રવાદી બાદ હવે શિવસેના સપાટામાં!!! મુંબઈ મનપાના આ નગરસેવકના ઘરે ઈન્કમટેક્સની ધાડ જાણો વિગત,
સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં 336 ટિકિટ બારીઓ પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે. 476 એટીવીએમમાંથી લગભગ 178 એટીવીએમ ચાલુ છે. જયારે બાકીના ચાલુ કરવાની તૈયારીમાં છે. વેસ્ટર્ન રેલવેમાં તમામ 403 ટિકિટ કાઉન્ટર શરૂ થઈ ગયા છે અને 353 એટીવીએમમાંથી 157 એટીવીએમ કાર્યરત છે.
અહીં ઉલ્લેખનીય છે કે હાલ 63 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે, જેમાં વેસ્ટર્નમાં 28 લાખ અને સેન્ટ્રલ રેલવેમાં 35 લાખ પ્રવાસીઓનો સમાવેશ થાય છે.