ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
દિલ્હીથી નોઇડા અને ગાઝિયાબાદના પ્રવાસીઓ માટે મોટી રાહતના સમાચાર છે. 11 મહિના બાદ દિલ્હી પોલીસે ગાઝીપુર બૉર્ડર પરથી બૅરિકેડ્સ હટાવ્યા છે. 11 મહિનાથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને કારણે પરેશાન લાખો લોકોને રાહત મળશે. બીજી બાજુ, દિલ્હી પોલીસે બૅરિકેડ્સ હટાવતાં ખેડૂતોના નેતાઓમાં એવી આશંકા છે કે આંદોલનના સ્થળે કોઈ ગરબડ થઈ શકે છે. સાંજે ભારતીય કિસાન યુનિયન દ્વારા એક નિવેદન રજૂ કરીને ખેડૂતોને આંદોલન સ્થળ પર પહોંચવાની અપીલ કરવામાં આવી અને કહ્યું હતું કે સીમા પર સ્થિતિ યથાવત્ રહેશે. એ અંગે કોઈ મૂંઝવણ નથી. પોલીસે ગાઝીપુર બૉર્ડર પરથી બૅરિકેડસ્ હટાવ્યા બાદ તમામ અફવાઓ ચાલી રહી છે. આ અંગે ભારતીય કિસાન યુનિયન સ્પષ્ટ કરવા માગે છે કે મોરચો જેમ છે, એમ ચાલુ રહેશે.
આ મુદ્દે ભારતીય કિસાન યુનિયન મીડિયાના પ્રભારી ધર્મેન્દ્ર મલિકે કહ્યું હતું કે અમારું આંદોલન જે રીતે ચાલુ છે એમ રહેશે અને ખેડૂતોને વધુમાં વધુ સંખ્યામાં આંદોલનમાં જોડાવા માટે અપીલ કરી રહ્યા છીએ. આ સમગ્ર મામલે સંયુક્ત કિસાન મોરચાએ પોતાનું નિવેદન જાહેર કર્યું છે. એમાં જણાવ્યું છે કે ખેડૂતોએ વિરોધ કર્યો એ સાચો સાબિત થયો છે. પોલીસે રસ્તાઓ રોક્યા, ખેડૂતોએ નહીં. ખેડૂતોએ અગાઉ પણ આ અંગે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આંદોલનકારીઓએ ભૂતકાળમાં પણ વાહનોને જગ્યા આપી હતી અને હવે પણ એ જ કરવામાં આવી રહ્યું છે.