News Continuous Bureau | Mumbai
ઉત્તરાખંડના જોશીમઠમાં ફરી એકવાર ભૂસ્ખલન અને તિરાડોનો ખતરો ઉભો થયો છે. આ વખતે જોશીમઠ-બદ્રીનાથ રોડ પર લગભગ 10 કિમીમાં મોટી તિરાડો જોવા મળી છે. જોશીમઠ અને મારવાડી વચ્ચે આ તિરાડો પડી છે. શ્રાઈન ટાઉન બદ્રીનાથને જોડતા રસ્તા પર આ તિરાડો પડી ગઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લગભગ 10 જગ્યાએ આવી તિરાડો પડી છે અને તમામ તિરાડો તદ્દન નવી છે. એવી આશંકા છે કે નજીકના ભવિષ્યમાં તેમની સંખ્યા વધુ વધી શકે છે.
આગામી ચાર ધામ યાત્રાને જોતા તેને એક મોટો ખતરો માનવામાં આવી રહ્યો છે. ઉત્તરાખંડ સરકારે શનિવારે જ ચાર ધામ યાત્રાની જાહેરાત કરી છે. જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિ (JBSS)ના પદાધિકારી સંજય ઉનિયાલે જણાવ્યું કે, નાગરિકોનું એક જૂથ કે જે જોશીમઠમાં જમીન ધસવાની સમસ્યાને ઉજાગર કરી રહ્યાં છે. જોશીમઠ પાસે બદ્રીનાથ હાઈવે પર ઓછામાં ઓછી 10 જગ્યાએ નવી તિરાડો સામે આવી છે. રાજ્ય સરકારના દાવાઓથી વિપરીત જૂની તિરાડો પહોળી થઈ રહી છે અને તાજી તિરાડો પણ સામે આવી રહી છે.
તેમણે જણાવ્યું કે રેલ્વે ગેસ્ટ હાઉસ પાસે સ્થિત સ્ટેટ બેંકની શાખાની સામેના રસ્તા પર મોટી તિરાડો છે. આ ઉપરાંત જેપી કોલોની અને મારવાડી બ્રિજ પાસે પણ આવી તિરાડો જોવા મળી છે. તેવી જ રીતે રવિગ્રામ મ્યુનિસિપલ વોર્ડમાં ઝીરો બેન્ડ પાસે હાઇવે ખાબકી ગયો છે. અહીં રહેતા પ્રણવ શર્માએ જણાવ્યું કે અગાઉ પણ અહીં ઘણી તિરાડો પડી હતી, જેને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના અધિકારીઓએ ભરાવી હતી.
આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતની મુશ્કેલીઓમાં વધારો, મુખ્યપ્રધાન એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક નિવેદન બદલ અહીં નોંધાયો કેસ
આ મામલો સામે આવ્યા બાદ સ્થાનિક પ્રશાસન પણ હરકતમાં આવી ગયું છે. ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ જણાવ્યું કે નિષ્ણાતોની એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આ ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે અને વહીવટીતંત્રને રિપોર્ટ કરશે. ત્યાર બાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિના કન્વીનર અતુલ સેટીએ સરકારને ચેતવણી આપી છે કે થોડી પણ બેદરકારી ચાર ધામ યાત્રાના ભક્તોના જીવ ગુમાવી શકે છે. તેમણે કહ્યું કે યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં વાહનો આવવા-જવાના રહેશે. આવી સ્થિતિમાં આ ખતરો વધુ વધી શકે છે.
Join Our WhatsApp Community