ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જુલાઈ, 2021
ગુરુવાર
ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયા વિરુદ્ધ શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે 100 કરોડ રૂપિયાનો માનહાનિ દાવો કર્યો છે. ખોટા વિધાન કરવા બદલ માફી નહીં માગવા બદલ કિરીટ સોમૈયા વિરુદ્ધમાં થાણેની દીવાની કોર્ટમાં પ્રતાપ સરનાઈકે 100 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો દાવો કર્યો છે. સોમૈયાએ હવે કોર્ટમાં આરોપ બદલ જવાબ આપવો પડશે એવું પ્રતાપ સરનાઈકે કહ્યું હતું.
કિરીટ સોમૈયાએ રાજકીય દ્વેષની તમામ સીમાઓ પાર કરીને ગંદું રાજકારણ કર્યું છે. મારા વિરુદ્ધમાં ખોટાં વિધાનો કરીને મારી બદનામી કરી છે. છ મહિનામાં અલગ-અલગ જગ્યાએ તેમણે મારા પર ખોટા આરોપ કર્યા છે. એને કારણે મારી પ્રતિષ્ઠા, ઇજ્જતને નુકસાન થયું છે. એની ભરપાઈ કરવા માટે દીવાની કોર્ટમાં 100 કરોડ રૂપિયાનો દાવો કર્યો હોવાનું પ્રતાપ સરનાઈકે કહ્યું હતું.
મુંબઈમાં 30 જુલાઈથી આ લોકોને મળશે ઘરમાં કોરોનાની વેક્સિન; જાણો વિગત
પ્રતાપ સરનાઈકના કહેવા મુજબ મીરા-ભાયંદર પાલિકા હદમાં મેન્ગ્રોવ્ઝનું નુકસાન પહોંચાડીને કિરીટ સોમૈયાની રાજકીય તાકતનો ઉપયોગ કરીને તેમનાં પત્ની મેઘા સોમૈયાએ ત્યાં 18 શૌચાલય બાંધ્યાં હતાં. શૌચાલય બાંધવામાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નિયમનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સ્થાનિક પાલિકાના અધિકારીઓને પણ ફસાવવામાં આવ્યા હતા. ખોટી રીતે શૌચાલયના પૈસા પણ વસૂલ્યા હતા. આ પ્રકરણમાં પતિ-પત્ની વિરુદ્ધમાં ગુનો નોંધવાની મેં માગણી કરી હતી. આ બાબતે મુખ્ય પ્રધાન, અર્બન ડેવલપમેન્ટના પ્રધાન તેમ જ ગૃહપ્રધાનને તેમણે ફરિયાદ કરી હતી. એથી સરકારે એનો અહેવાલ માગ્યો હતો, જેમાં પર્યાવરણને નુકસાન પહોંચાડીને આ શૌચાલય બાંધવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. તેમ જ રાજ્યના ગૃહ ખાતાએ એની ઇકોનોમિક ઓફેન્સ વિંગને તપાસ પણ સોંપી હતી. કિરીટ સોમૈયાનું આ પ્રકરણ બહાર આવવાને કારણે તેમણે મારા પર ખોટા આરોપ કર્યા હોવાનો દાવો પ્રતાપ સરનાઈકે કર્યો છે.
Join Our WhatsApp Community